શ્રીનગર,
દેશનું સ્વર્ગ કહેવાતું જમ્મુ-કાશ્મીર હાલમાં સૌથી ભીષણ સફેદ તૂફાનનો સામનો કરી રહ્યું છે. હાલમાં રાજ્યભરમાં પડી રહેલા બરફના કારણે લોકો વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે રાજ્યના હાઈવે બંધ થઇ ગયા છે અને વાહનોની અવરજવર બંધ થઇ ગઈ છે, સાથે સાથે વિમાનોની આવાજાહી પર પણ અસર પડી છે.
પાટનગર શ્રીનગરના રસ્તાઓ પર દોઢ ફૂટની બરફની ચાદર જામી ગઈ છે, આ કારણે દેશનો કાશ્મીર ઘાટી સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
બીજી બાજુ ભારતીય હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે, આગળ પણ આજ પ્રમાણે હિમવર્ષા ચાલુ રહી શકે છે અને રાજ્યના અનંતનાગ, બડગામ, બારામુલા, કુપવાડા, બાંદીપોરા, ગાંદરબલ, કારગિલ અને લેહમાં હિમસ્ખલન પણ થઇ શકે છે એમ જણાવાયું છે.
રાજ્યભરમાં થયેલી હિમવર્ષાના કારણે તાપમાન નીચલા સ્તર સુધી પહોંચી ગયું છે. શ્રીનગરમાં ગુરુવાર રાત્રે ન્યૂનતમ તાપમાન -૩.૨ ડિગ્રી સેલ્સિયસ, દક્ષિણ કાશ્મીરના કાજીગુંડમાં -૦.૮ ડિગ્રી, ગુલમર્ગમાં -૧૦.૦ ડિગ્રી, કુપવાડામાં ૪.૬ ડિગ્રી તેમજ પહેલગામમાં -૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે”.
જયારે લદ્દાખ ક્ષેત્રનું લેહનું ન્યૂનતમ તાપમાન -૧૪.૫ ડિગ્રી, તેમજ કારગિલ -૧૮.૬ ડિગ્રી સાથે સૌથી નીચે નોધાયું છે.