નવી દિલ્હી,
ભારતીય રેલ્વેમાં હંમેશા યાત્રીઓની સુરક્ષાને લઈ ઘણા સવાલો સામે આવ્યા છે. રેલ્વેમાં મુસાફરી દરમિયાન ઘણીવાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં ટ્રેન દુર્ઘટનામાં વર્ષમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવતા હોય છે. પરંતુ હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં રેલ્વે દ્વારા યાત્રીઓની સુરક્ષાને લઈ કરવામાં આવેલી પહેલમાં સુધારો આવ્યો છે.
ગત સપ્ટેમ્બર, ૨૦૧૭ થી ઓગષ્ટ ૨૦૧૮ સુધીમાં એક વર્ષ દરમિયાન ૭૫ રેલ્વેની ઘટનાઓમાં કુલ ૪૦ લોકોના મોત થયા છે, જે છેલ્લા ૫ વર્ષની રેલ દુર્ઘટનાઓમાં આ સૌથી ઓછુ નુકશાન છે.
રેલ્વે મંત્રાલયના એક અધિકારી દ્વારા સરકારી આંકડાઓનો ખુલાસો આપતા આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૧૬થી લઇ ઓગષ્ટ ૨૦૧૭ સુધીમાં કુલ આઠ રેલ્વેની ઘટનાઓ બની હતી, જેમાં ૨૪૯ લોકોના મોત થયા હતા.
આ ઘટનાઓમાં ઇન્દોર-પટના એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી નીચે ઉતરવાના કારણે ૧૫૦થી વધુ લોકો માર્યા ગયા હ્જતા. જયારે ૨૦૧૭થી ૨૦૧૮ સુધીમાં માત્ર ૪૦ લોકોના મોત થયા છે. આ દમિયાન બે મોટી ઘટનાઓ થઇ હતી.
જેમાં ઓગષ્ટ, ૨૦૧૭માં ઉત્કલ એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે ૨૦ લોકોના મોત થયા હતા, જયારે ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં ઉત્તરપ્રદેશમાં ટ્રેનની ઝપટમાં આવી ગયેલી વાનની ઘટનામાં ૧૩ બાળકોના મોત થયા હતા.
આ જ પ્રકારે સપ્ટેમ્બર, ૨૦૧૩થી ઓગષ્ટ ૨૦૧૪ વચ્ચે કુલ ૧૩૯ રેલ ઘટનાઓ બની હતી જેમાં ૨૭૫ લોકોના મોત થયા હતા. જયારે ૨૦૧૪-૧૫માં ૧૦૮ ઘટનાઓમાં કુલ ૧૯૬ લોકોના મોત થયા હતા.
રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર, ૨૦૧૭થી લઇ ઓગષ્ટ, ૨૦૧૮ના સમયગાળા દરમિયાન ટ્રેનની દુર્ઘટનાઓમાં ક્રમશઃ ઘટાડો થયો છે. આ દુર્ધટનાનો આંકડો ૬૨થી ઘટીને માત્ર ચાર થઇ જઈ છે, એટલે કે ૯૩ ટકાનો ઘટાડો થયો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “રેલ્વેની મુસાફરી દરમિયાન ઘાયલો અને મૃતકોની સંખ્યામાં આવેલો ઘટાડાનું મુખ્ય કારણ મોટા પાયે પાટામાં કરવામાં આવેલું નવીનીકરણ, નિયમિત ચકાસણી અને કર્મચારીઓને સુરક્ષાને લઈ આપવામાં આવેલું પ્રશિક્ષણ જવાબદાર છે.