શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે ભારતીય સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં ૩ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઠાર કરાયેલા આ ત્રણ આતંકીઓમાંથી બે સ્થાનિક છે જયારે એક આતંકીની ઓળખ સામે આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, બે સ્થાનિક આતંકીઓ પૈકી ઈસાફજલી શ્રીનગરનો રહેવાસી છે જ્યારે સૈયદ ઔવેસી કોકેરંગનો રહેવાસી છે.
આતંકીઓ સાથેની અથડામણ બાદ હાથ ધરવામાં સર્ચ ઓપરેશનમાં એ કે-૪૭ રાઈફલ, પિસ્તોલ, ગ્રેનેડ સહિતના મોટાપ્રમાણમાં હથિયારો અને દારૂગોળા મળી આવ્યા છે.
સુરક્ષાદળોના ઓપરેશન બાદ સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શનની આશંકાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા શ્રીનગરમાં શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ ઈન્ટરનેટની સ્પીડ પણ ઘટાડી દેવામાં આવી છે.
આ ઓપરેશન જમ્મુ-કાશ્મીરના ડીજીપી શેષ પોલ વૈદ્યે જણાવ્યુ હતું કે, ઠાર કરાયેલા આતંકીઓ પૈકી એક તાજેતરમાં શૌઉરામાં પોલીસ પોસ્ટ પર થયેલ હુમલામાં સામેલ હતો. આ હુમલામાં એક કોન્સ્ટેબલ શહિદ થયો હતો. તેમજ આતંકીઓની આ ટુકડી સુરક્ષાદળોના હથિયારો લુંટવામાં પણ સામેલ હતા. વિરોધ પ્રદર્શનની આશંકાને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે.
મહત્વનું છે કે, આ પહેલા રવિવારે પણ દક્ષિણ કાશ્મીરના કુરગામમાં આતંકીઓએ એક હુમલો કર્યો હતો. કુરગામના નુરાબાદ વિસ્તારમાં અજાણ્યા આતંકીઓએ જમ્મુ-કાશ્મીર સરકારના પૂર્વ મંત્રી અબ્દુલ મજિદના ઘર પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.