રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાનો સોમવારે છેલ્લો દિવસ છે. ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાનો, પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા કોંગ્રેસ તરફથી નારણ રાઠવા અને ડો. અમી યાજ્ઞિક ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીયમંત્રી નારણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામ જાહેર કર્યા હતા. જેના કારણે કોંગ્રેસના પ્રવક્તા અમી યાજ્ઞિકની પસંદગી થતા અસંતોષ ફેલાયો હતો.
સોનલબેન પટેલે કોંગ્રેસ પાર્ટીના મહિલા મોરચના પ્રમુખ પદ પરથી તેમને રાજીનામું આપી દીધું છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની અન્ય મહિલાઓએ પણ રાજીનામાં આપ્યા હોવાની વાત બહાર આવી છે.
સોનલબેન પટેલે આક્ષેપ કર્યો છે કે, અમીબેન યાજ્ઞિકને રાજ્યસભાની ટિકિટ આપવામાં મહિલા પ્રદેશ કોંગ્રેસને વિશ્વાસમાં લેવામાં આવી નથી. તેમજ અન્ય હોદ્દેદારોને નજર અંદાજ કરીને મનમાની રીતે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી દેવામાં આવી છે. જેથી મહિલા કોંગ્રેસના પ્રમુખે ડો. અમી યાજ્ઞિકની પસંદગી પર નારાજગી વ્યક્ત કરી હતી.
સોનલબેન પટેલનુ કહેવુ છે કે, અમીબેન યાજ્ઞિકનું કોંગ્રેસમાં કોઈપણ યોગદાન નથી તેમ છતા તેમને ટિકિટ અપાઈ છે. જ્યારે અમારા જેવા પક્ષ માટે સતત કામ કરતા લોકોની અવગણના કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ઇચ્છા આગામી 2019ની લોકસભાની ચુંટણીમાં જાતિ, જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવાની હતી. જો હાઈકમાન્ડે તેમની વાત નજર-અંદાજ કરી છે.
મહત્વનુ છે કે કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈને પહેલાથી જ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. આ પહેલા છેલ્લી ઘડી સુધી દિપક બાબરીયાનુ નામ ફાઈનલ મનાઈ રહ્યુ હતું. જોકે અંતિમ સમયે તેમનુ નામ કપાયુ છે.
કોંગ્રેસના નારણ રાઠવા અગાઉ લોકસભામાં ચૂંટાયા છે અને કેન્દ્રમાં રાજ્ય કક્ષાના રેલવે પ્રધાન પણ રહી ચુક્યા છે, જયારે ડો. અમી યાજ્ઞિક ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે અને ભૂતકાળમાં કોંગ્રેસના પ્રવક્તા પણ રહી ચુક્યા છે.