શ્રીનગર,
સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા આડે હાથ લીધા બાદ પણ પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન તેની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. બોર્ડર પાર આતંકીઓની ઘુસપેઠ દ્વારા આતંક ફેલાવવામાં માહિર પાકિસ્તાન દ્વારા હવે હવાઈ સીમા પાર પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
રવિવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પાસે એક પાકિસ્તાનની હેલિકોપ્ટર જોવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર ભારતીય સીમાનું ઉલ્લંઘન કરતા LOCને પાર કરતુ જોવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવાર બપોર ૧૨ વાગ્યાની બતાવવામાં આવી રહી છે. આ દરમિયાન LOCની આજુબાજુ અચાનક જ પહાડોની વચ્ચે એક હેલિકોપ્ટર જોવા મળ્યું હતું. આ જોઈએ ભારતીય સુરક્ષાબળો દ્વારા એક્શન લેવામાં આવી હતી અને તેઓ તરફથી ફાયરીંગ કરીને જવાબ આપવામાં આવ્યો હતો.
સાથે સાથે માહિતી સામે આવી રહી છે કે, આ પાકિસ્તાનના હેલિકોપ્ટરમાં POK (પાક. અધિકૃત કાશ્મીર)ના પ્રધાનમંત્રી ફારુક હૈદર સવાર હતા.
રક્ષા મંત્રાલયના PROએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરન પૂંછ સેકટરમાં પાકિસ્તાન દ્વારા ભારતીય હવાઈ સીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક પાકિસ્તાની હેલિકોપ્ટર રવિવાર બપોરે ૧૨ વાગ્યે સીમાની અંદર જોવામાં આવ્યું હતું”.
જો કે આ ઘટના એ સમયે સામે આવી છે, જયારે એક દિવસ પહેલા જ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભારત દ્વારા પાકિસ્તાનને આડે હાથ લેવામાં આવ્યું છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, પાકિસ્તાન માત્ર આતંકવાદ ફેલાવવા માટે જાણીતું નથી, પરંતુ પોતાના દ્વારા કરાયેલી આતંકી પ્રવૃત્તિઓને નકારવા માટે પણ તેને મહારથ હાંસલ છે. દુનિયાના આતંકીઓઓ પાકિસ્તાનમાં ફ્રીડમ ફાઈટર કહેવામાં આવે છે અને તેઓની ક્રુરતાને વીરતા કહેવામાં આવે છે.