નવી દિલ્હી,
એક દેશ એક ચુંટણીની વાત લઈને છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચા ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા દેશમાં વન નેશન વન ઈલેક્શન અપનાવવાનો સુઝાવ આપ્યો હતો. ત્યારબાદ આ મુદ્દા પર ચર્ચા શરુ થઇ હતી કે શું દેશમાં આવું શક્ય છે ખરું? આ બાબતે ચુંટણી કમિશનથી લઈને વિધિ આયોગ સતત આ મુદ્દે વિચાર-વિમર્શ કરી રહ્યા છે, કે શું દેશમાં વન નેશન વન ઈલેક્શનના સુઝાવ પર અમલ થઇ શકે કહ્રો. કારણ કે જો આ મુદ્દા પર અમલ થઇ જાય, તો દેશમાં વિવિધ ચુંટણી દરમિયાન ખર્ચ થતા કરોડો રૂપિયાની બચત થઇ શકે છે.
વન નેશન વન ઈલેક્શનની સંભાવનાઓ ચકાસવા માટે લો કમિશને અલગ-અલગ રાજનીતિક દળો સાથે બેઠક શરુ કરી છે. આ બેઠકમાં લગભગ દોઢ ડઝન રાજનીતિક દળ શામેલ થયા છે. જોકે બેઠકમાં બધા દળો સાથે બેસવાના બદલે, એક એક દળના પ્રતિનિધિઓ આવી રહ્યા છે. અને લો કમીશન સામે પોતાનો પક્ષ રાખી રહ્યા છે. બેઠકમાં ટીએમસીના નેતા કલ્યાણ બેનર્જી અને ગોવામાં ભાજપની સહયોગી પાર્ટી ગોવા ફોરવર્ડ બ્લોકના પ્રતિનિધિ વિજય સરદેસાઈએ વન નેશન વન ઈલેક્શનનો વિરોધ કર્યો હતો.
કેટલાક એવા પણ દળો છે જેમણે હજુ લો કમીશનને જણાવ્યું નથી કે તેઓ પોતાનો પક્ષ રાખવા માંગે છે કે નહિ. આમાં રાજ્યસ્તરની પાર્ટીઓ જ નહિ, પરંતુ રાષ્ટ્રીય સ્તરની પાર્ટીઓ પણ શામેલ છે.
જોકે, આ બેઠકમાં કોઈ મહત્વનું ફેસલો થઇ જશે એ કહેવું પણ ઉતાવળ કહેવાશે. પરંતુ આ બેઠક દ્વારા લો કમીશનને અલગ-અલગ રાજનીતિક દળોનો પક્ષ જરૂર મળી જશે. લો કમીશન એ પક્ષને જોયા બાદ એક રીપોર્ટ તૈયાર કરીને કાનુન મંત્રાલયને મોકલી શકે છે. જેના આધાર પર કાનુન મંત્રાલય નક્કી કરશે કે ખરેખર પીએમ મોદીના વન નેશન વન ઈલેક્શન સુઝાવને આગળ વધારી શકાય છે કે નહિ. કારણ કે જ્યાં સુધી અધિકતમ રાજનીતિક દળો એકમત નથી ત્યાં સુધી આ મુદ્દાનો અમલ કરવો અશક્ય છે.