દિલ્હી,
ભાજપના ટોચના નેતાઓએ અગાઉ સોનિયા ગાંધીના ઇટાલિયન હોવાને લઇને ભલે ગમે તેટલી ટીપ્પણીઓ કરી હોય પરંતુ સાચી હકીકત એ છે કે. ભારત સાથે ઇટાલીના સંબંધો સુમેળભર્યા રહ્યાં છે. ભારતે હજુ બે દિવસ પહેલાં જ ઇટાલી સાથે કેટલાંક અગત્યના ક્ષેત્રોમાં સમજુતી કરાર કર્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને દવાનાં ક્ષેત્રમાં ભારત અને ઇટાલી વચ્ચે થયેલા સમજૂતી કરારને 20મી ડિસેમ્બરે મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને દવાનાં ક્ષેત્રમાં ભારત અને ઇટાલી વચ્ચે સહયોગ સંબંધિત સમજૂતીકરાર (MOU)ને અગાઉની અસર સાથે મંજૂરી આપી છે. આ MOU પર નવી દિલ્હીમાં 29 નવેમ્બર, 2017નાં રોજ હસ્તાક્ષર થયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત કોંગ્રસ પર શાબ્દીક ચાબખા મારતી વખતે સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કરવાને બદલે ‘ઈટાલીવાળા’ તરીકે સંબોધતા હોય છે.
ઈટાલી સાથે થયેલા આ MOUમાં નીચેનાં ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવાની બાબતોનો સમાવેશ થાય છે.
- ડોક્ટર્સ, અધિકારીઓ, સ્વાસ્થ્ય ક્ષેત્રનાં અન્ય વ્યાવસાયિકો અને નિષ્ણાતોનાં આદાનપ્રદાન તથા તાલીમ
- માનવ સંસાધન અને સ્વાસ્થ્ય સેવાઓનાં વિકાસ તથા સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્નોની સ્થાપનામાં સહાયતા
- સ્વાસ્થ્યમાં માનવ સંસાધનને ટૂંકા ગાળા માટે તાલીમ
- દવા, ચિકિત્સા ઉપકરણો અને સૂચનાનાં આદાનપ્રદાન માટે નિયમ
- દવા અને બંને પક્ષો દ્વારા અન્ય ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં વેપારનાં વિકાસની તકોને પ્રોત્સાહન
- જેનેરિક અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા તથા દવાનાં પુરવઠાનાં સંબંધમાં સહાયતા
- સ્વાસ્થ્ય ઉપકરણો અને ઔષધીય ઉત્પાદનોની ઉપલબ્ધતા
- ન્યૂરો-કાર્ડિયોવાસ્ક્યુલ રોગો, કેન્સર, સીઓપીડી, માનસિક સ્વાસ્થ્ય અને ડીમેનશિયા જેવા ક્ષેત્રોમાં સહયોગ અને દ્વિપક્ષીય હિત સંબંધિત બિનચેપી રોગોને અટકાવવામાં સહયોગ. તેમાં એસડીજી-3 અને સંબંધિત બિંદુઓ પર ભાર મૂકવામાં આવ્યો છે
- ચેપી રોગો અને જીવાણુજન્ય રોગો પર આબોહવામાં પરિવર્તનની અસર થનાર ક્ષેત્રોમાં સહયોગ
- એસજીડી-2 અને પોષણ સેવાઓનાં સંબંધમાં કુપોષણ (અતિપોષણ અને ઓછું પોષણ) સહિત ભોજનનો પોષક પક્ષ
- ઉત્પાદન, સ્થળાંતરણ, વિતરણ અને ખાદ્ય પુરવઠાની સુરક્ષા
- ખાદ્ય ઉદ્યોગ સંચાલકોને તાલીમ અને સંશોધન
- સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા તથા સ્વસ્થ ભોજનની ટેવો પર નાગરિકોને સૂચના આપવી તથા જાણકારી આપવી
- પારસ્પરિક નિર્ણય અનુસાર સહયોગનાં અન્ય ક્ષેત્ર
આ MOUનાં અમલ પર નજર રાખવા અને સમજૂતી અંતર્ગત અન્ય વિગતો માટે સંયુક્ત કાર્ય જૂથ સ્થાપિત કરવામાં આવશે.