નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૪માં રાજધાની દિલ્હીમાં બીજેપીની સરકારના ગઠન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં બેનામી સંપત્તિ ધરાવતા વ્યક્તિઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. બેનામી સંપત્તિ પર લગામ લગાવવા માટે નોટબંધી કરવામાં આવી ચુકી છે, ત્યારે હવે મોદી સરકારે આ અંગે વધુ એક એલાન કર્યું છે.
ઇન્કમટેક્ષ વિભાગે બેનામી સંપત્તિ ઉજાગર કરવા માટે “બેનામી ટ્રાન્સફર સુચના રિવાર્ડ યોજના ૨૦૧૮”ની શરૂઆત કરી છે. જેમાં વિદેશમાં પડેલા અજાણ્યા કાળા નાણાંની જાણકારી આપનાર વ્યક્તિને ૫ કરોડ રૂપિયાની ઇનામી રાશી મળશે, જયારે બેનામી સંપત્તિ માટે એક કરોડ રૂપિયા તેમજ ટેક્સ ચોરીની માહિતી આપવા માટે ૫૦ લાખ રૂપિયા આપવામાં આવશે.
આ તમામ પ્રકારની ઇનામ રાશિ ઇન્કમટેક્ષ એક્ટ,૧૯૬૧ હેઠળ આપવામાં આવશે.
આ યોજના હેઠળ જયારે કોઈ વ્યક્તિ પ્રોહિબીશન યુનિટ્સમાં જોઈન્ટ તેમજ એડિશનલ કમિશનર સમક્ષ કોઈ આ પ્રકારની સંપત્તિ અંગે જાણકારી આપે છે ત્યારે તે વ્યક્તિને આ ઇનામ મળશે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, “બેનામી ટ્રાન્સફર સુચના રિવાર્ડ યોજના ૨૦૧૮ના ભાગરૂપે જોઈન્ટ તેમજ એડિશનલ કમિશનરને ઇન્કમટેક્ષ વિભાગના ડાયરામાં આવનારી બેનામી સંપત્તિની વિશિષ્ટ જાણકરી આપવા બદલ એક કરોડ રૂપિયા આપવામાં આવશે.
આ ઉપરાંત સરકાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, આ ઇનામ પ્રાપ્ત કરનારા વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે, પરંતુ જે તે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી જાણકરી ખોટી સાબિત થશે તો તેઓને ઇનામ આપવામાં આવશે નહીં.
શું હોય છે બેનામી સંપત્તિ
દેશમાં કોઈ વ્યક્તિ જયારે કોઈ સંપત્તિને પોતાના પૈસાથી કોઈ બીજાના નામ પર ખરીદેશે છે, ત્યારે તેને બેનામી સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે.
મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર પાસે એમેન્ડેડના કાયદા હેઠળ અધિકાર હોય છે કે, તેઓ કોઈ પણ બેનામી સંપત્તિ જપ્ત કરી શકે છે. સાથે સાથે બેનામી સંપત્તિ ખરીદવા પર દોષિત ઠેરવ્યા બાદ ૭ વર્ષ સુધીની સજા પણ ફટકારવામાં આવી શકે છે.