નવી દિલ્હી,
આતંકવાદનો રસ્તો છોડી ભારતીય સેનામાં શામેલ થયેલા લાંસ નાયક નજીર અહેમદ વાનીને અશોક ચક્રથી સન્માનિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અશોક ચક્ર એ ભારતીય આર્મીમાં વીરતાના ક્ષેત્રમાં આપવામાં આવનારું સેનાનું સર્વોચ્ચ સન્માન છે.
જોવામાં આવે તો, આ પ્રથમ અવસર છે જયારે કોઈ આતંકવાદની નાપાક હરકતમાંથી પાછા ફરીને સેનામાં શામેલ થયા હોય અને તેઓ શહીદ થયા બાદ કોઈ જવાનને આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવી રહ્યું છે.
નજીર વાની ક્યારે બન્યા સૈનિક ?
શહીદ નજીર અહેમદ વાનીની વાત કરવામાં આવે તો, તેઓએ વર્ષ આતંકવાદનો રસ્તો છોડી ૨૦૦૪માં આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારબાદ ભારતીય સેનાને જોઈન્ટ કરી હતી.
જો કે ત્યારબાદ નવેમ્બર, ૨૦૧૮માં ક્યારેય સેનાની જ વિરુધ લડનારા આ બહાદુર સૈનિકે આતંકવાદીઓ જંગ લડતા શહીદ થયા હતા.
હકીકતમાં, ગત વર્ષે ૨૩ નવેમ્બર મહિનામાં જમ્મુ – કાશ્મીરના શોપિયામાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી અને ત્યારબાદ સુરક્ષાબળોની ૩૪ રાષ્ટ્રીય રાઈફલ્સની એક ટીમ તેઓનો સફાયો કરવા માટે ત્યાં પહોંચી હતી.
આ દરમિયાન ૬ આતંકીઓ એક ઘરમાં ફસાયા હતા અને તેઓને ચારેબાજુથી જવાનોએ ઘેરી લીધા હતા. આ દરમિયાન નજીર વાનીએ એક આતંકીને ઠાર પણ કર્યો હતો, પરંતુ આ દરમિયાન તેઓ ફાયરીંગમાં ઘાયલ થતા તેઓ શહીદ થયા હતા.
આ શહીદ જવાનની આ બહાદુરી માટે જ તેઓને અશોક ચક્ર સન્માન આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી બતાવવામાં આવી રહ્યું છે કે, “નજીર વાની એક બહાદુર સૈનિક હતા અને તેઓએ હંમેશાની માટે એક પડકારરૂપ મિશનમાં પોતાનું સાહસ બતાવ્યું છે”,
કોણ છે નજીર વાની ?
નજીર વાની એ કુલગામના ચેકી અશ્મુજી ગામના રહેવાસી છે અને તેઓના પરિવારમાં તેઓની પત્ની અને બે બાળકો છે. સૌપ્રથમ આતંકવાદની રાહ પકડનારા વાનીએ ૨૦૦૪માં આત્મસમર્પણ કર્યા પછી આર્મીમાં પોતાની સેવા આપવાનું નક્કી કર્યું હતું.
સેનામાં શું હોય છે અશોક ચક્રનું સન્માન ?
નીઝર વાનીને નવાજવામાં આવનારા મરણોપરાંત અશોક ચક્રની વાત કરવામાં આવે તો, ભારતનો શાંતિના ક્ષેત્રમાં આપવામાં આવનારૂ સર્વોચ્ચ સન્માન છે. અશોક ચક્ર પછી કિર્તી ચક્ર અને શૌર્ય ચક્રનું સન્માન આપવામાં આવે છે.
આ પહેલા તેઓને વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૭માં સેના મેડલ મળી ચુક્યા છે.
શહીદ નજીર વાની ઉપરાંત અ આ વર્ષે ચાર અધિકારીઓ – સૈનિકોને કિર્તી ચક્ર અને ૧૨ને શૌર્ય ચક્રનું સન્માન આપવામાં આવશે.