વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈના નિધન બાદ રાજ્યમાં રખડતા કૂતરાઓનો મામલો ચર્ચામાં છે. આ દરમિયાન સુરતથી વિચિત્ર કૌભાંડ સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકામાં માત્ર 2754 રખડતા કૂતરા હોવાનું એક RTIમાં સામે આવ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકાએ 30 હજાર કૂતરાઓનું ખસીકરણ થયાનો દાવો કર્યો છે. આ અજીબોગરીબ ખુલાસો સુરત સ્થિત RTI એક્ટિવિસ્ટ સંજય એઝવા દ્વારા દાખલ કરવામાં આવેલી RTIના જવાબમાં થયો છે. તાજેતરમાં અમદાવાદમાં રખડતા કૂતરાઓ દ્વારા પીછો કરવાને કારણે પરાગ દેસાઈના મૃત્યુની ઘટના પ્રકાશમાં આવી હતી, જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મૃત્યુ કૂતરાના કારણે થયું હોવાનો ઈનકાર કર્યો હતો.
2018નો સર્વે: RTIના જવાબમાં પશુપાલન વિભાગે સત્તાવાર રીતે કહ્યું છે કે, 2754 રખડતા કૂતરા છે. જ્યારે સુરત મહાનગર પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં 33,761 કૂતરા પકડ્યાનો દાવો કર્યો છે. આ માટે 3.28 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું કોર્પોરેશને જણાવ્યું છે. સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે RTIના જવાબમાં જણાવ્યું છે કે સુરતના 101 વોર્ડમાં કુલ 2754 શ્વાન છે. આ માહિતી 2018ના સર્વેમાં સામે આવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે તે શ્વાનની વસ્તી ગણતરી કરતી નથી.
મ્યુનિસિપલના આંકડા: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને RTIના જવાબમાં જણાવ્યું છે કે 2018-19 અને 2022-23 વચ્ચે કુલ 33,761 કૂતરા પકડાયા હતા. તેના પર 3.28 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાંથી 30,300 કૂતરાઓનું રસીકરણ અને નસબંધી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ખર્ચની ગણતરી કરીએ તો એક કૂતરા પાછળ 11,931 રૂપિયા ખર્ચાયા હતા.
રખડતા કૂતરાઓને પકડવા, તેમની નસબંધી અને રસીકરણની કામગીરી મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે. આ ઘટસ્ફોટ અંગે મહાનગરપાલિકાએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.સુરતમાં દરરોજ સરેરાશ 50-70 કૂતરા કરડવાના કેસ નોંધાય છે.
આ પણ વાંચો: Canada/ ટ્રુડોના રાજમાં કેનેડામાં ખાલિસ્તાનને લઈને ‘જનમત સંગ્રહ ‘ની તૈયારી!
આ પણ વાંચો: Indian Mobile Congress/ ભારત 6Gમાં વર્લ્ડ લીડર બનશેઃ PM મોદી
આ પણ વાંચો: Canada Visa/ કેનેડા જવા માગતા લોકો માટે સારા સમાચાર,’ 7-10 દિવસમાં મળશે વિઝા’