અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના આતંકથી આત્મહત્યાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે શહેરના જમાલપુર વિસ્તારમાંથી વ્યાજખોરોના આતંક સામે હિમ્મત હારી જતા વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી વિગતો મુજબ, ભંગારનો ધંધો કરતા આરીફભાઇ કુરેશીએ ધંધા માટે મુબારક કુરેશી અને કાળુભાઇ પાસેથી એક મહિના પહેલા 1,70,000 રૂપિયા લીધા હતા. તેમજ વ્યાજ સહીત રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં પણ મુબારક અને કાળું ઘરે આવી વ્યાજની માંગણી કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.
જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તેમણે જમાલપુર ખાતે ઝેરી દવા પી લીધી હતી. જેની પરિવારજનોને જાણ થતા તેમને સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ દાખલ કરી બંને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.