નવી દિલ્હી,
પંજાબમાંથી પસાર થતી સતલુજ અને વ્યાસ નદીમાં ફેલાયેલા પ્રદૂષણ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે રાજ્ય સરકારને લાલ આંખ બતાવી છે.
NGT દ્વારા સતલુજ અને વ્યાસ નદીમાં પ્રદૂષણ ફેલાવવા મામલે પંજાબ સરકારને ૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત સરકારને એક અઠવાડિયાની અંદર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં આ રકમ જમા કરાવવા માટે પણ આદેશ આપ્યો છે.
આ પહેલા સતલુજ અને વ્યાસ નદીમાં ફેલાવવામાં આવી રહેલી ગંદકીના મામલે NGT દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાદ NGT દ્વારા પંજાબ સરકારને દોષી માનવામાં આવી હતી અને આ દંડ ફટકારવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબના ગુરદાસપુર જિલ્લાની એક સુગર મિલ દ્વારા વ્યાસ નદીમાં લાખો ટન ખરાબ વેસ્ટેજ નહેરમાં ઠાલવવામાં આવ્યું હતું. આ કારણે પશ્ચિમી રાજસ્થાનની નહેરોમાં ઝેર ફેલાવવાનો ખતરો મંડરાઈ રહ્યો હતો.