પટના,
બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ મામલે સામે આવેલા ચોકાવનારા ખુલાસા બાદ હવે અંતે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની પ્રતિક્રિયા આપી છે. નીતિશ કુમારે આ સનસનાટી ભર્યા બળાત્કારના કેસ મામલે કહ્યું, “અમે શરમ અનુભવી રહ્યા છીએ, આ મામલાની તપાસ CBI કરી રહી છે”.
શુક્રવારે આયોજિત એક કાર્યક્રમમાં બિહારના CMએ જણાવ્યું, “અમે ઈચ્છીએ છીએ કે, CBIની તપાસને હાઈકોર્ટ મોનીટર કરે. આ મામલે કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહિ”. ખબર નહિ આજ કાલ કયા પ્રકારની માનસિકતાવાળા લોકો અમારા સમાજમાં છે. આ એક પ્રકારનું પાપ છે“.
સિસ્ટમમાં છે ખામી : નીતિશ કુમાર
રાજ્યની સિસ્ટમની ખામી અંગે નીતિશ કુમારે કહ્યું, “આ ઘટનામાં સિસ્ટમની ખામી છે, અને આપણે સિસ્ટમને મજબૂત બનાવવી પડશે, જેથી આ પ્રકારની ઘટના બીજીવાર ન થઇ શકે. હું તમને વિશ્વાસ અપાવું છું કે, આ પ્રકારની ઘટના બીજીવાર નહિ થાય. આ ઘટનાથી મને પણ દુઃખ થયું છે, પરંતુ જ્યાં સુધી હું સરકારમાં છું, ત્યાં સુધી કાયદાનું રાજ હશે”.
ચાર્જસીટમાં થયા હતા ચોકાવનારા ખુલાસા
મહત્વનું છે કે, કોર્ટમાં પોલીસ દ્વારા રજુ કરાયેલી ૧૬ પાનાંની ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, આ શેલ્ટર હોમમાં એક ઓરડો હતો, જે ઓપરેશન થિયેટર તરીકે કામ કરતુ હતું. આ બાલિકાગૃહમાં રહેનારી છોકરીઓ સાથે યૌન શોષણ પછી ગર્ભવતી હોવાની સ્થિતિમાં જબરદસ્તીથી આ થિયેટરમાં ગર્ભપાત કરવામાં આવતું હતું.
આ ઉપરાંત ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, શેલ્ટર હોમમાં તેઓને ૬૭ પ્રકારની નશીલી દવાઓ અને ઈન્જેકશન પણ મળ્યા છે. આ તમામ દવાઓ અને ઈન્જેકશનનો ઉપયોગ છોકરીઓને બેહોશ કરવા માટે થતો હતો અને બાદમાં તેઓ સાથે બળાત્કાર કરવામાં આવતો હતો.
મુજફ્ફરપુર મામલે મુખ્ય આરોપી સહિત ૯ની કરાઈ ધરપકડ
મુજફ્ફરપુરના બહુચર્ચિત એવા શેલ્ટરહોમ રેપ કેસ મામલે ૩૪ છોકરીઓ સાથે રેપ થયા હોવાનો મામલો સામે આવ્યા બાદ મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સહિત ૯ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના ક્યારે સામે આવી ?
આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું. જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાંથી ૩૪ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.
આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું ન હતું.
જો કે ત્યારબાદ વિપક્ષના હુમલા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મામલાની તપાસ CBIને સોંપી હતી અને CBIએ કેસ પણ દાખલ કર્યો હતો.