નવી દિલ્હી,
સંસદના નીચલા ગૃહ લોકસભામાં રાષ્ટ્રીય પછાત વર્ગ કમિશનને બંધારણીય દરજ્જો આપવા માટેના ૧૨૩માં પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યું હતું, ત્યારે હવે આ પ્રસ્તાવને સોમવારે રાજ્યસભામાં પણ પસાર કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં પસાર કરવામાં આવેલા આ પ્રસ્તાવને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ સમર્થન આપવાની વાત કહેવામાં આવી છે.
આ પ્રસ્તાવમાં સરકાર દ્વારા કેટલાક સંશોધન પણ કરવામાં આવ્યા છે, જેમાં આ કમિશનમાં મહિલા સભ્યોને પણ શામેલ કરવામાં આવ્યા છે. સાથે સાથે રાજ્યોના અધિકારોના હસ્તક્ષેપને લઇને પણ વિપક્ષની શંકાને પણ દૂર કરવા માટેના પ્રયાસો કરાયા છે.
જો કે હવે આ પ્રસ્તાવ પારિત થયા બાદ બંધારણીય દરજ્જો મળવાના કારણે બંધારણમાં આર્ટિકલ ૩૪૨ (ક) સાથે જોડીને આં આયોગને સિવિલ કોર્ટની સમકક્ષ અધિકારો મળશે, જે પછાત વર્ગના લોકોની સમસ્યાઓના નિવારણ કરવાનો અધિકાર મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય પછાત વર્ગના આ પ્રસ્તાવ પર જયારે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા સંશોધન પાસ થયા હતા ત્યારે આ મુદ્દે સરકારની ખુબ આલોચનાઓ થઇ હતી. જો કે ત્યારબાદ સરકારે આ બીલમાં કેટલાક સંશોધન કરવા પડ્યા હતા.
આ બીલ પસાર થયા બાદ હવે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે રાષ્ટ્રીય પછાત વર્ગનું એક કમિશન બનશે. આ આયોગમાં એક અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો હશે, અને આ તમામ સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિને આધીન થશે.
આ પહેલા લોકસભામાં પછાત વર્ગનું બીલ સર્વસંમતિથી પસાર થઇ ગયું હતું, પરંતુ રાજ્યસભામાં જરૂરી સંખ્યાબળ ન હોવાના કારણે સરકાર મુશ્કેલીઓમાં જણાઈ રહી હતી.
મહત્વનું છે કે, ૧૯૯૩માં ગઠિત કરાયેલા આ કમિશનમાં અત્યારસુધી માત્ર સામાજિક અને શૈક્ષણિક આધાર પર પછાત વર્ગના લોકોને આ યાદીમાં શામેલ કરવા અથવા તો પહેલાથી શામેલ જાતિઓને બહાર કરવાનું કામ કરતુ હતું.