ભારતનાં પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા આજે 26 ભારતીય માછીમારોને આઝાદ કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસ પહેલાં જ આ માછીમારોને પાકિસ્તાન દેશે આઝાદી બક્ષી છે. ભારતનાં 26 જેટલાં માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છોડી દેવાયા છે. આ માછીમારોને ગેરકાયદેસર રીતે પાકિસ્તાનની જળસીમા માં આવી જવા માટે પકડવામાં આવ્યા હતા.
કરાંચીની મલીર જેલમાંથી તેઓને છોડી દેવાયા હતા. અને કૈન્ટ રેલ્વે સ્ટેશન પર પહોચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ માછીમારોને આવતીકાલે વાઘા બોર્ડર પર ભારતીય બોર્ડરના અધિકારીઓને સોંપી દેવામાં આવશે.
ઇધી ફાઉન્ડેશનનાં અધિકારી સાદ ઇધી એ ભારત અને પાકિસ્તાનની સરકારને અપીલ કરી કે બંને દેશ ગરીબ માછીમારો ને નિયમોમાં થોડી રાહત આપે. ઇધી ફાઉન્ડેશન પાકિસ્તાનનું નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે. જે સોશિયલ વેલફેર માટે કામ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ(માછીમારો) દેશનાં સૌથી ગરીબ વર્ગમાંથી આવે છે. તેઓને બને એટલી જલ્દી છોડી દેવા જોઈએ. અને માછીમારીની ક્રિયા પર ઓછા નિયમો હોવા જોઈએ.
પાકિસ્તાન અને ભારત દેશ દ્વારા અવારનવાર માછીમારો ની ધરપકડ કરવામાં આવે છે. કારણકે અરેબીયન સમુદ્રમાં કોઈ ચોક્કસ જળસીમા નથી એ ઉપરાંત ગરીબ માછીમારોની હોડીમાં અત્યાધુનિક ટેકનોલોજીનાં સાધનોનો પણ અભાવ હોય છે. જેથી તેઓ પોતાનું ચોક્કસ સ્થાન જાણી શકતા નથી.
લોકશાહી દેશની લાંબી અને જટિલ કાયદાકીય પ્રક્રિયાનાં કારણે માછીમારો ઘણાં સમય માટે જેલમાં જ રહે છે. અને છુટી શકતા નથી. આ એક ગંભીર સમસ્યા છે અને એ માટે બંને દેશોની બિનરાજકીય સંસ્થાઓ આગળ આવી છે આવાં માછીમારોની મદદ માટે. તેઓ માછીમારોનો આ મુદ્દો ઉઠાવે છે અને સરકારને ધરપકડ કરાયેલા માછીમારોને વહેલી તકે છોડી દેવા માટે ભાર આપે છે.