નવી દિલ્હી,
જવેલરી કિંગ નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા પંજાબ નેશનલ બેન્કમાં કરાયેલા કરોડો રૂપિયાના કૌભાંડના મામલે એક મહત્વનો ખુલાસો થયો છે.
દેશના સૌથી મોટા કૌભાંડોમાંના એક PNB સ્કેમમાં વર્તમાન મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે. આ નામ આવતા કેન્દ્રમાં વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપના માથે ભૂકંપ આવી ગયો છે.
૨ કરોડ રૂપિયાની લીધી હતી લાંચ
CBIના એક ઓફિસર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર મંત્રી એવા હરિભાઈએ ચાલુ વર્ષના જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં ૨ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, CBIના DIG મનોજ કુમાર સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી છે અને આરોપ મુક્યા છે કે હરિભાઈ ચૌધરીએ હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સના પાસેથી ૧ કે ૨ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.
અમદાવાદના કોઈ વિપુલ નામના વ્યક્તિ દ્વારા અપાઈ હતી આ રકમ
સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કેન્દ્રીયમંત્રી હરિભાઈને આપવામાં આવેલી આ રકમ અમદાવાદ શહેરના કોઈ વિપુલ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે અને આ તથ્ય સનાએ ૨૦ ઓક્ટોબરના રોજ CBI ઓફિસર સામે કર્યું હોવાનું પ્રાપ્ત થયું છે.
આ ઉપરાંત માહિતી પ્રાપ્ત થઇ છે કે, જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં એક એન્જસી દ્વારા એક કોલ ટ્રેસ કરવામાં આવ્યો હતો, જેમાં તેલંગાણાથી મેડચલથી ધારસભ્ય રહેલા કે એલ રેડ્ડી અને સના વચ્ચે ૧ કે ૨ કરોડ રૂપિયા મોકલવા અંગેની વાતચીત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, PNB સ્કેમના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેઓના પાસપોર્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.
કોણ છે સતીશ બાબૂ સના ?
સતીશ બાબૂ સનાની વાત કરવામાં આવે તો, તેઓ હૈદરાબાદના મોટા બિઝનેસમેન છે અને તેઓની ગણના દેશના સૌથી મોટા મીટના વેપારીઓમાં થાય છે.
આ પહેલા CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના સાથેના કેસમાં પણ સનાનું નામ સામે આવી ચુક્યું છે.
હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે સીબીઆઈ સ્પેશિયલ ડાયરેક્ટરને ગત વર્ષે લગભગ ૩ કરોડ રૂપિયા આપ્યા હતાં.