અમૃતસર,
આતંકી હુમલાની દહેશત વચ્ચે રવિવારે અમૃતસરના રાજાસાંસી ગામ સ્થિત નિરંકારી ભવનમાં બે લોકોએ ગ્રેનેડથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ વિસ્ફોટમાં ૩ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા હતા.
આ વચ્ચે ઘટનાના ૨૪ કલાક બાદ હવે બાઈક પર સવાર બે હુમલાવરોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા આ બે શંકાસ્પદ હુમલાવરો અંગેની માહિતી આપનારને ૫૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
આ ઉપરાંત માહિતી આપવા માટે પોલીસ દ્વારા એક હેલ્પલાઇન નંબર ૧૮૧ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર તમે આ બે શંકાસ્પદની માહિતી આપી શકો છો. સાથે સાથે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ બે હુમલવરોની માહિતી આપનારની ઓળખ છતી કરવામાં આવશે નહિ”.
CCTV ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો બાઈક પર નજર આવી રહ્યા છે અને તેઓના ચહેરા ઢાંકેલા છે. જેમાં એક વ્યક્તિ જીંસ-શર્ટ જયારે બીજો કુર્તા-પાયજામમાં જોવા મળી રહ્યા છે. તેઓ બ્લેક કલરની બાઈક પર સવાર હતા અને બાઈક પર કોઈ નંબર પ્લેટ ન હતી.
હુમલા માટે ખાલિસ્તાની સમર્થકો હોઈ શકે છે જવાબદાર
જો કે આ હુમલો કોણા દ્વારા કરવામાં આવ્યો છે તે અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, આ અટેકની શંકા ખાલિસ્તાની સમર્થકો પર જોવા મળી રહી છે, જેઓએ લોકલ છોકરાઓને ઉપસાવીને આ ઘટનાને અંજામ અપાવ્યો છે.
એવું પણ માનવામાં અવી રહ્યું છે કે, ISIની રાહ પર કાશ્મીરના આતંકી સંગઠનો સાથે પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા ખાલિસ્તાની આતંકીઓ આ પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
રવિવારે થયો હતો ગ્રેનેડથી હુમલો
મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબ ઘુસેલા આતંકીઓ બાદ રાજયભરમાં હાઇએટલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આ આશંકાઓ વચ્ચે અમૃતસરના રાજાસાંસી ગામ સ્થિત નિરંકારી ભવનમાં બે લોકોએ વિસ્ફોટ કર્યો હતો.
આ બ્લાસ્ટ થયો એ સમયે ભવનમાં મહિલાઓ સહિત ૨૦૦ શ્રદ્ધાળુઓ હાજર હતા, અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.