નવી દિલ્હી,
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં ચાલી રહેલા ઉપવાસ પોલીટીક્સ પર નિશાન સાધ્યું છે. રાહુલે સોમવારે ટ્વીટ કરતા આ મામલામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ભાજપ અને પીએમનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે દિલ્હીમાં ચાલી રહેલા ડ્રામાના પીડિત દિલ્હીવાસીઓ છે. જણાવી દઈએ કે દિલ્હીમાં આઈએએસ અધિકારીઓની કથિત હડતાલને ખતમ કરવા અને ડોર-સ્ટેપ યોજનાને લઈને સીએમ અરવિંદ કેજરીવાલે કેબીનેટ મંત્રીઓ સાથે એલજી ઓફીસ પર ઉપવાસ શરુ કર્યા હતા. ત્યારબાદ પાણીના મુદ્દા પર ભાજપના નેતાઓએ સીએમ ઓફીસ પર ઉપવાસ શરુ કર્યા હતા.
સોમવારે આ મામલા પર રાહુલ ગાંધીએ કહ્યું કે દિલ્હીના સીએમ એલજી ઓફીસે ઉપવાસ પર બેઠા છે. ભાજપ સીએમ આવાસ પર ઉપવાસ કરી રહ્યું છે. દિલ્હીના અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પીએમ આ અરાજકતાને અવગણી રહ્યા છે. આ ડ્રામાના આગળ વધવાથી દિલ્હીની જનતા પરેશાન છે.
જણાવી દઈએ કે એલજી ઓફીસ પર ઉપવાસ કરી રહેલા દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની તબિયત બગડી હતી, જેના કારણે એમને LNJP હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે આ બાબતે ટ્વીટર પર જાણકારી આપી હતી. આ પહેલા ઉપવાસ દરમિયાન દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત પણ બગડી હતી અને એમને પણ હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.