વોશિંગ્ટન,
ઈસ્તાંબુલ સ્થિત સાઉદી અરબની એમ્બેસીમાં કરવામાં આવેલી પત્રકાર ખશોગીની હત્યા મામલે અનેક અટકળો સામે આવી રહી હતી, આ વચ્ચે આ પત્રકારની હત્યાને લઇ અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે.
CIAનું કહેવું છે કે, સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા પત્રકાર જમાલ ખશોગીની હત્યા કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
જો કે સાઉદી અરબ દ્વારા હંમેશાની માટે આ મામલે ક્રાઉન પ્રિન્સની ભૂમિકાને નકારવામાં આવી છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ, આ દાવો તૂર્કી સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી રેકોર્ડિંગ અને અન્ય તથ્યો પર આધારિત છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “તપાસકર્તાઓનું એ પણ માનવું છે કે, ખશોગીની હત્યા જેવું ઓપરેશન ક્રાઉન પ્રિન્સની મંજૂરી વિના સમાપ્ત થઇ શકતું નથી.
અમેરિકાની એજન્સી દ્વારા દાવા અંગે સાઉદીના પ્રવક્તાએ કહ્યું, “આ આરોપ અને દાવાઓ ખોટા છે. અમે સતત આં સદર્ભમાં અલગ-અલગ માહિતી સાંભળી રહ્યા છે.
વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા મુજબ, અમેરિકાની ગુપ્તચર એજન્સી દ્વારા આંકલન કરાયું છે કે, ક્રાઉન પ્રિન્સના ભાઈ ખાલિદ બિન સલમાન દ્વારા ખશોગીને ફોન કરીને તેઓને એમ્બેસીમાં આવવા માટે દસ્તાવેજલાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
બીજી બાજુ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત કરી છે કે, ખાલિદ દ્વારા પોતાના ભાઈ ક્રાઉન પ્રિન્સના આદેશ પર જ આ ફોન કર્યો હતો. જો કે ખાલિદ દ્વારા ટ્વિટ કરીને ઇન્કાર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨ ઓક્ટોબરના રોજ પત્રકાર જમાલ ખશોગીની ઈસ્તાંબુલ સ્થિત સાઉદી અરબની એમ્બેસીમાં હત્યા કરવામાં આવી હતી.