શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનો દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટમાં વધુ એક સફળતા મળી છે. J & Kના શોપિયા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૪ આતંકીઓને ઠાર કરાયા છે.
સેના દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા ૪ આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે, તેઓ તમામ સ્થાનિક રહેવાસી છે. જો કે આ ઓપરેશન દરમિયાન સેનાનો એક જવાન પણ શહીદ થયો છે, જયારે અન્ય ૩ જવાન ઘાયલ થયા છે.
બીજી બાજુ આ એન્કાઉન્ટર વચ્ચે પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાક. તરફથી સવારથી જ પૂંછ સેકટરમાં ઘણા મોર્ટાર દાગવામાં આવ્યા છે, ત્યારબાદ ૧૧ વાગ્યે રાજૌરી સેકટરમાં પણ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
શોપિયાના નાદિમગામમાં આતંકીઓ છુપાયા હોવાની મળી હતી માહિતી
પ્રાપ્ત માહિતી અનુસાર, શોપિયાના નાદિમગામમાં આતંકીઓ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે જ જવાનોને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને એમાં સફળતા મળી છે.
આ ઓપરેશન ૧૭૮મી બટાલિયન, RR અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત પોલીસ અભિયાન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે.
૨ દિવસ પહેલા પણ થયું હતું એન્કાઉન્ટર
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી બે દિવસ પહેલા શોપિયા જિલ્લામાં સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કરાયા હતા.
સુરક્ષાબળોના જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલા એનકાઉન્ટર દક્ષિણી કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબન વિસ્તારમાં થયું હતું.