દિલ્લી,
થોડાક દિવસ પહેલા સામે આવેલી જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માસૂમ બાળકી સાથે કરાયેલા ગેંગરેપની ઘટનાએ દેશ શર્મશાર થયો હતો અને આ આરોપીઓને સખ્ત સજા ફટકારવા માટે સમગ્ર દેશમાં રોશની લાગણી જોવા મળી હતી. ત્યારે હાવે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા આ દર્દનાક ગેંગરેપ અને હત્યાના કેસની સુનાવણી પંજાબના પઠાનકોટમાં ટ્રાન્સફર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
બીજી બાજુ કોર્ટ દ્વારા કઠુઆ ગેંગરેપ મામલાની CBI તપાસ કરાવવા માટેની માંગને પણ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે આગામી સુનાવણી માટે ૯ જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે, તેમજ આ સુનાવણી દરરોજ અને કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરવા માટે પણ આદેશ આપ્યો છે.
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જમ્મુ-કાશ્મીર સરકારને પઠાનકોટમાં આ કેસના સંદર્ભમાં થનારી સુનાવણી મામલે સરકારી વકીલની નિયુક્તિ કરવા માટે પણ મંજુરી આપી છે. આ ઉપરાંત સરકારને ગેંગરેપની પીડિતાના પરિવારજનો, વકીલ અને સાક્ષીને પણ સુરક્ષા આપવા માટે જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસને પઠાનકોટમાં ટ્રાન્સફર કરતા પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ઉધમપુર, જમ્મુ, રામબન અને સાંબા સહિતના કેટલાક જગ્યાઓ અંગે વિચાર કરવામાં આવ્યો હતો.
પીડિત પરિવારને કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવા કરી માંગ
આ કેસમાં પીડિત બાળકીના પરિવારને ડર છે કે, “નીચલી કોર્ટમાં આ કેસમાં ઈમાનદારીથી સુનાવણી નહિ થાય અને તેઓને ન્યાય નહિ મળે, જેથી તેઓએ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો”.
૮ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમોએ આચર્યો હતો ગેંગરેપ
મહત્વનું છે કે, ૧૦ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના રાસના ગામમાં એક મંદિરના ગર્ભગૃહમાં બંધક બનાવી ૮ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમોએ ગેંગરેપ આચર્યો હતો અને ત્યારબાદ તેની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ, એક સગીર વયના છોકરા સહિત કુલ ૮ આરોપીઓ શામેલ હતા.
ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ પણ આ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દેશભરમાં આ ઘટનાને લઇ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે હવે લાંબા સમયગાળા બાદ વર્તમાન PDP-ભાજપ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપી ૩ પોલીસ કર્મચારીઓ સહિતના ૮ આરોપીઓની ધરપકડ કરી હતી.