ચંડીગઢ,
છેલ્લા કેટલાક સમયથી પોતાના નિર્ણયોને લઇ વિવાદોમાં રહેતા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પોતાના એક ફરમાનને લઇ વધુ એક ચર્ચામાં છે. હરિયાણાની ભાજપ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, “રાજ્યમાંથી આવવાવાળા ખેલાડીઓ વિજ્ઞાપનો અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ દ્વારા જે કમાણી કરે છે, તેના ૩૩ ટકા હરિયાણા સ્પોર્ટ્સ કાઉન્સિલમાં જમા કરાવવાની રહેશે”.
હરિયાણાની ખટ્ટર સરકાર દ્વારા આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે, આ રૂપિયાનો ઉપયોગ રાજ્યમાં રમતના વિકાસ માટેના ખર્ચ માટે થશે.
સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “જે ખેલાડીઓને નોકરી મળે છે એમાં હવેથી રજા લેવા પર પણ વેતન કાપવામાં આવશે”.
આ ઉપરાંત જયારે કોઈ ખેલાડી સરકારની કોઈ પણ પરવાનગી વગર કોઈ પણ કંપનીનું વિજ્ઞાપન કરશે તેમજ પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ભાગ લે છે ત્યારે તેની કમાણી સરકારી ખાતામાં જ જમા કરાવવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણાના એવા ઘણા ખેલાડીઓએ છે, જેઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને દેશનું નામ રોશન કર્યું છે. આ ખેલાડીઓમાં બોક્સર વિજેન્દ્ર સિંહ, પહેલવાન સુશીલ કુમાર અને યોગેશ્વર દત્ત, બબીતા ફોગાટ અને ગીતા ફોગાટ શામેલ છે.
પોતાના નિર્ણયોને લઇ વિવાદોમાં રહેતા હોય છે હરિયાણાના CM
મહત્વનું છે કે, હરિયાણાના મુખ્યમંત્રી બન્યા બાદ મનોહર લાલ ખટ્ટર પોતાના કેટલાક નિર્ણયોને કારણે વિવાદોમાં બની રહી છે. હાલમાં જ ખુલ્લામાં નમાજ પઢવાને લઇ ચાલી રહેલા વિવાદ અંગે તેઓએ કહ્યું હતું કે, “નમાજ સાર્વજનિક જગ્યાઓ પર નહિ પરંતુ મસ્જિદ અથવા ઇદગાહમાં પઢવી જોઈએ.
આ ઉપરાંત તેઓ ખુલ્લામાં સંઘની શાખા લગાવવા માટેની પરમિશનને લઇને પણ ઘણી ચર્ચાઓ સામે આવી હતી તેમજ હમણાં જ તેઓએ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન અંગે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.