સરકારે ગુરૂવારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટીઆરએઆઈ)ના હાઈ પ્રોફાઈલ ચેરમેન આર.એસ. શર્માની મુદતને વધુ બે વર્ષ માટે લંબાવી છે. તેમની મુદત શુક્રવારે પૂરી થશે. 1997માં ઓથોરિટીની રચના થઈ ત્યારથી પહેલી વાર ટ્રાઈના ચેરમેનને બીજી વાર ટર્મ આપવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેઈનિંગ (ડીઓપીટી) દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે, ધ એપોઈન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ (એસીસી)એ ટ્રાઈના ચેરમેન તરીકે શ્રી આર.એસ. શર્માની 10 ઓગસ્ટ 2018થી 30 સપ્ટેમ્બર 2020 સુધીના સમયગાળા માટે અથવા વધુ સૂચના ન મળે ત્યાં સુધી (બેમાંથી જે વહેલા હોય તે) પૂનઃનિયુકિત કરી છે. 30 સપ્ટેમ્બરે તેઓ 65 વર્ષના થશે.
ઝારખંડ કેડરની 1978ની બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી શર્મા તાજેતરમાં આધારના ડેટાની પ્રાઈવસી અંગે પડકાર ફેંકવા બદલ સમાચારોમાં ચમકયા હતાં. તેમણે 10 ઓગસ્ટ 2015નાં રોજ હોદ્દો સંભાળ્યો હતો. ટ્રાઈના ચેરમેન તરીકેના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન વોઈસ કોલ્સ લગભગ મફત થયા હતા અને ડેટા ટેરિફ અત્યાર સુધીની નીચી સપાટીએ પહોંચ્યા હતાં. તેમના વડપણ હેઠળ ટ્રાઈએ સંખ્યાબંધ, નિયમો અમલી બનાવ્યા હતા, જેમાં નેટ ન્યુટ્રાલિટી ટેકો આપતા નિયમો, સવિર્સ કવોલિટીના નિયમો કડક બનાવવા, વણજોઈતા કોલ પર અંકુશ, ટેલિકોમ કંપનીઓને કોલ ડ્રોપ માટે વળતર આપવાની ફરજ પાડવી અને પ્રિડેટરી પ્રાઈસિંગ ટેરિફ ઓર્ડરનો સમાવેશ થાય છે.