નવી દિલ્હી,
દેશભરના ટ્રક ટ્રાન્સપોર્ટર્સ તેમની માંગણીઓના સમર્થનમાં આજથી અનિશ્ચિત બંધ પાળવા જઈ રહ્યા છે. જેથી દેશભરમાં માલની હેરફેર આવતીકાલથી થંભી જશે. ગુજરાતના 9 લાખ અને દેશભરના 75 લાખથી વધુ ટ્રક ટ્રાન્સપોર્ટર્સ સરકાર સમક્ષ મુકેલી 5 માંગણીઓ અંગે નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી તેમણે ચક્કાજામ કરી દેવાનો નિર્ણય લીધો છે.
જે અંતર્ગત તેઓ આવતીકાલથી બંધ પાળવાના છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના નિમેષ પટેલનુ કહેવુ છે કે અત્યારે રોજ રોજ ડીઝલના ભાવ બદલાયા કરે છે. સતત બદલાતા અને વધી જતા ભાવના કારણે દેશના કોઈપણ શહેરમાંથી અન્ય શહેરમાં માલ મોકલવા માટેની ટ્રકની ટ્રીપના કોસ્ટિંગ નક્કી કરવામાં મોટી હાલાકી પડી રહી છે. તેમની બીજી માંગણી ટોલ ફ્રી રોડ આપવાની છે.
રસ્તામાં તેમની ટ્રક રોકવાને પરિણામે વર્ષે 1.47 લાખ કરોડના ઈંધણનો બગાડ થતો હોવાનો અને પર્યાવરણને નુકશાન થતુ હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત 25 ટનની ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ રુપિયા 40 હજાર જેટલા ઊંચા છે. આ પ્રીમિયમ પર 18 ટકાના દરે જીએસટી લેવામાં આવે છે.
પ્રીમિયમમાંથી વીમા એજન્ટોને 15 ટકા જેટલુ કમિશન આપવામાં આવે છે, આ સ્થિતિમાં તેના પરનો જીએસટી કાઢી નાખવામાં આવે તેવી ટ્રાન્સપોર્ટર્સ ની માંગણી છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટર્સ ની એવી પણ માંગ છે કે ઈ-વે બિલ ઈશ્યુ કરાવવામાં તેમને ઓનલાઈન કેટલીક તકલીફ પડી રહી છે, જેને દૂર કરવાની માંગ છે.