ભુવનેશ્વર,
નહેરૂ પરિવારની પ્રિયંકા ગાંધીના રાજકારણ પ્રવેશ પછી આ પરિવારના વરૂણ ગાંધી પણ કોંગ્રેસમાં જોડાવવાની અટકળો તેજ થઇ હતી. રાહુલ ગાંધીના પિતરાઇ વરૂણ ગાંધી હાલ ભાજપ સાથે છે પરંતું તેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યાં હોય તેવું જણાય છે.
ભાજપ પ્રત્યે નારાજ એવા વરૂણ ગાંધીના કોંગ્રેસ જોડાવવા પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, “તેઓને વરૂણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવવા અંગે કોઇ જાણકારી નથી”.
રાહુલ ગાંધીને ભુવનેશ્વરમાં એક કાર્યક્રમમાં પુછવામાં આવ્યું કે નહેરૂ પરિવારને એકજુટ કરવાનો પ્રયાસના ભાગરૂપે વરૂણ ગાંધી પણ કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે ? તો રાહુલ ગાંધીએ જવાબ આપતાં કહ્યું કે આવી અટકળો મેં નથી સાંભળી.
વરૂણ ગાંધી યુપીની સુલતાનપુર સીટના ભાજપના લોકસભાના સસંદસભ્ય છે અને તેમના માતા મેનકા ગાંધી મોદી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે.
તાજેતરમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે વરૂણ ગાંધીને ભાજપમાં મહત્વપુર્ણ કાર્ય સોંપવામાં આવે કેમ કે તે સૌથી ભણેલા ગાંધી છે અને ગ્રામીણ ભારતમાં મોટા પાયે કામ કરે છે.
2014ની ચૂંટણી પછી ભાજપમાંથી વરૂણ ગાંધી પાસેથી એક પછી એક જવાબદારીઓ લઇ લેવામાં આવી છે.વરૂણ ગાંધીને સાસંદોના વેતન,રોહિંગ્યાની વાપસી જેવા મુદ્દે નિવેદન કરવાની ભાજપ તરફથી મનાઇ કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરૂણ ગાંધીની સુલતાનપુરમાંથી લોકસભાની ટીકીટ કપાઇ પણ શકે છે.