જયારે જયારે કોઈ શાંતિના શ્વાસ લેતું હોય, એક સુખી અને સંપન્ન જિંદગી જીવતું હોય ત્યારે તેની પાછળ હંમેશા કઈ કેટલાય લોકોની શાંતિનો ભોગ અનાયાસે લેવાતો હોય છે. માન્યામાં આવે કે ન આવે પરંતુ આ એક વૈશ્વિક અને સદીઓનો દફન થયેલ ઇતિહાસ છે કે જે યુદ્ધોની ગેરહાજરીમાં પણ મૂડીવાદના જોરે અકબંધ રહી શક્યો છે. જી, હા દેશમાં કોરોનાની શાંતિ પુરી રીતે સ્થપાઈ નથી, ક્યાં કિસાન આંદોલન દેશની શાંતિને ડહોળી રહ્યું છે. તેવામાં બજેટ સેશન આવ્યું. જો, કે કોમર્સ અને મેનેજમેન્ટનો આ વિષય સામાન્ય લોકો માટે સમજવો હંમેશા અઘરો જ હોય છે. પરંતુ એક સરળ ભાષામાં સમજવું હોય તો તેમ કહેવાય કે, ઘર ચલાવવા દર મહિને જેમ આવતા નાણાં ક્યાં અને કેટલા પ્રમાણમાં ખર્ચાશે ? આ નાણાંમાં ક્યાં કાપ મુકવો કઈ વસ્તુમાં ખર્ચ કરવો કે જરૂરી છે? અને ક્યાં થી આ સમગ્ર ખર્ચની જોગવાઈ થાય તેમ નાણાં મેળવવાના સ્તોત્રો ઉભા કરવા. કેમ આવક વધારવી…બસ આ છે બજેટ.. સીધું અને સાદું… બાકી ટેક્નિકલ સમજવું અઘરું જ લાગે.
અહીં ઘરના બદલે દેશની વાત હોય છે બજેટમાં. પરંતુ આંકડાઓની આ માયાજાળ લોકોને ખાસ ગતાગમ પડે તેવી સરળ નથી હોતી. પરંતુ દેશને ચલાવવા , ટકાવવા અને લોકોને સુવિધાઓ પુરી પાડવા નાણાંનું એકત્રીકરણ પણ જરૂરી તો છે ને? અન્યથા સામાન્યત : સરકાર પાસે ધનના મુખ્ય સ્તોત્ર જીએસટી, કોર્પોરેટ ટેક્સ, વ્યક્તિગત ટેકસ, ઉત્પાદન શુલ્ક અને વિનિવેશ સહીત અનેક નાના-મોટા કરવેરા છે. આમ તો બીજા શબ્દોમાં કહી શકાય કે, કયાક તમે 2 રૂ. ની ચીજ ખરીદો છો તો પણ તેના પર કોઈપક પ્રકારનો તો ટેક્સ લાગ્યો જ હોય છે.. મતલબ કે મોટાભાગની તમામ ચીજો પર કોઈક તો ટેક્સ લાગ્યો જ હોય. કોઈ નહી તો તે ચીજ ટોલ ટેક્સ ભરીને પણ તમારા હાથમાં આવી હશે. મતલબ કે સરકાર પાસે આવકના સ્તોત્રો તો ઘણા બધા છે જ
પરંતુ સામે ખર્ચ પણ અધધ જેટલી રકમનો જંગી હોય જ છે. તેથી અહીં કોઈ ટેક્સને ગેરવાજબી કહેવાનો આશય નથી.
પરંતુ એક વાત છે કે, હાલમાં વોટ્સએપમાં ફરતા એક મિમ ની જેમ “રૂપિયો આવશે ક્યાં થી તો એરઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓ વેચી ને…અને જશે ક્યાં તો ” જે આ કંપનીઓ ખરીદશે તેના લોન આપવામાં ” મતલબ કે કહેવાનો આશય છે કે, બેંકોની એનપીએ અને બેડ બેન્ક જેવી સ્થિતિને કારણે લોકોમાં આવી માન્યતાઓ અને વળી કયાક સચ્ચાઈ પણ સમાયેલી હોય છે ..ત્યારે બેડ બેન્ક અને ખાનગીકરણ સામે લોકોનો રોષ હોય તે વ્યાજબી છે. કેમ કે, માર્કેટમાં સૌથી વધુ રૂપિયો મધ્યમવર્ગનો અને મધ્યમવર્ગ થકી જ ફરે છે. અને સૌથી વધુ ટેક્સ પણ આ જ વર્ગ ચૂકવે છે. ત્યારે લોકો જયારે લોન લેવા જાય છે ત્યારે તેમને જે હાલાકી પડે છે તે જ તેમના રોષનું કારણ બને છે. તેથી જ આ પેટ્રોલ-ડીઝલ પરનો સેસ અને એગ્રી સેસ ને બધું કોના ખિસ્સામાંથી જવાનું છે તે તો સામાન્ય માણસ અને ખેડૂત પણ વિચારશે જ…
વધુમાં એક તથ્ય તે પણ છે કે, દેશમાં લગભગ 4 કરોડ જેટલા કરદાતા છે કે જે બાકીના 126 કરોડ લોકોનો બોજ ઉઠાવી રહ્યા છે.. આ એક અંદાજ છે. બાકી આંકડાકીય માહિતી અનુસાર, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા 2018-19 ના જારી કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, લગભગ 5.68 કરોડ લોકોએ તેમનું આયકર રિટર્ન દાખલ કર્યું હતું. જેમાંથી લગભગ 1 કરોડ લોકોએ 5-10 લાખ રૂપિયાની ઉપર કર આપ્યો.. તો 46 લાખ વ્યક્તિગત કરદાતાઓ 10 લાખ રૂપિયાની ઉપર આવક પર કર આપ્યો. ત્યારે મતલબ સાફ છે કે, સીધો કરવેરો ભરનારાઓની સંખ્યા આ 138 કરોડ લોકોના દેશમાં નગણ્ય છે..જેને કારણે સરકારે વિવિધ કરમાળખા ઉભા કરી આવકના સ્તોત્રો ઉભા કરવા પડે છે.
તો બીજી તરફ આ મહામારી દરમ્યાન જ્યાં લાખો લોકોની નોકરીઓ ગઈ છે ત્યાં એક વર્ગ તેવો પણ હતો કે જેની આવકમાં ધરખમ વધારો નોંધાયો હતો.. મતલબ કે તેમને કોરોના મહામારી કે આ મહામંદી કઈ જ નડતું નથી. તેમછતાં તેમને બેંકોની લોનો આજેપણ આ સ્થિતિમાં યથાવતપણે મળી રહે છે. કેમ કે, તેમને આર્થિક ગતિવિધિઓની નસ માનવામાં આવે છે. ત્યારે પ્રશ્ન તે જ છે કે, દેશનો સૌથો મોટો કરદાતા તો મધ્યમવર્ગ છે .. કે જેનાથી આખી ઈકોનોમી નું પૈડું ફરે છે. ત્યારે બજેટમાં તેમના માટે ખાસ વિશેષ જોગવાઈ કેમ નહી ..?
સમાજમાં આ તે જ મધ્યમવર્ગ છે કે જેના કારણે , રીઅલ એસ્ટેટ, ઓટોમોબાઇલ, કપડાં, ખાન-પાન , ચિકિત્સા, મોલ , હોટેલ્સ જેવા તમામ વ્યવસાયો ચાલે છે. આ મધ્યમવર્ગની બચતના કારણે જ તમામ બેન્ક ચાલે છે. અને એમની જ બચતથી બેન્ક લોન આપી શકે છે. તેમછતાં પાછલા કેટલાક સમયથી આ બચત પરનો વ્યાજ દર સતત ઓછો થઇ રહ્યું છે. અને હવે તો ફિક્સ ડિપોઝીટ પર પણ વ્યાજ દર પાછળના બચત ખાતાઓના વ્યાજથી પણ ઓછી થઇ ચુકયો છે.
ત્યારે કહેવાનો આશય છે કે, આજે કોરોના કાળમાં જ્યાં હજારો લોકોની નોકરીઓ ગઈ છે, ધન્ધા-રોજગાર ઠપ્પ થયા છે. ત્યારે આ વર્ગની દરકાર કરવા શું કરવામાં આવ્યું છે? તેમના માટે કેમ ખાસ કોઈ ચોક્કસ નીતિઓ નથી બનાવવામાં આવતી. યાદ રહે કે , સમાજનો આ એક તેવો વર્ગ છે કે, તે વિશાળ સંખ્યામાં છે, તેના થકી જ મોટું બજાર છે કે, જે દુનિયાભરનું મન મોહે છે. ત્યારે તેની કમર તૂટવી ન જોઈએ. આ વર્ગ જ સમાજને અને અર્થતત્રને બેઠું કરવાની તાકાત ધરાવે છે. તે ન ભુલાય. તેથી જ તેમને આ વસમી સ્થિતિમાં બુસ્ટર ડોઝ મળે તે જોવું જોઈતું હતું.
કેમકે, તેનો સામાજિક મોભો પણ તેવો છે કે, તેના ખિસ્સા ખાલી હશે તો પણ તે કોઈની સામે હાથ લાંબો નહી કરી શકે. સાવ ટૂંકા પગારમાં ઘરના બે છેડા કરવામાં જ તેની સાંજ ઢળી જાય છે. તેની પાસે વેદનાઓ અને સમસ્યાઓનો આખો એક ચિતાર છે પણ તે કોને કહે. વળી બઝારમાં પણ જો તેજી લાવવી હશે તો તે આ વર્ગની ખરીદ શક્તિથી જ આવશે. બાકી બીજા દેશોમાં કર વસુલવામાં આવે છે તો ત્યાં કરદાતાઓને સામાજિક સિક્યોરિટી પણ તેટલા જ પ્રમાણમાં મળતી હોય છે. સ્કેન્ડિવીયન કંટ્રીમાં આજેપણ ટેક્સ નું પ્રમાણ 40 % ની ઉપર નું છે..પરંતુ ત્યાં પ્યોર માર્ક્સવાદની જેમ સરકાર લોકોની જવાબદારીઓનો બોજ પણ મોટા પ્રમાણમાં ઉઠાવીને ફરે છે, જેને કારણે કોઈ ભૂખથી કે , બેરોજગારી કે કોઈ રોગથી સારવાર વિના નથી મરતું. મતલબ કે જે પોષતું તે મારતું જેવી સ્થિતિ છે. પરંતુ અહીં જે વર્ગ વધુ ટેક્સ ચૂકવે છે તેને જ અપાર સમસ્યાઓ છે. ત્યારે આ વર્ગ માટે પણ બજેટમાં ખાસ વ્યવસ્થાનો અભાવ તો વર્તાય જ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…