શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદની બેઠક થવાની છે ત્યારે રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.નોંધનીય છે કે આવતીકાલે સીએમ અરવિંદ કેજરીવાલ અને સોનુ સૂદ નવી દિલ્હીમાં મળવાના છે. જોકે, આ બેઠક કયા વિષય પર છે તે અંગે અભિનેતા કે આમ આદમી પાર્ટી તરફથી કશું કહેવામાં આવ્યું નથી, પરંતુ આ બેઠકને પંજાબ વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને ચોક્કસપણે જોવામાં આવી રહી છે.
આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબ એક એવું રાજ્ય છે જ્યાં આમ આદમી પાર્ટી પોતાના માટે શક્યતાઓ શોધવાનો પ્રયાસ કરી રહી છે. CM કેજરીવાલે ભૂતપૂર્વ મંત્રી અને SAD (યુનાઇટેડ) ના નેતા સેવા સિંહ સેખવાનને મળ્યા છે અને તેમને પાર્ટીમાં સામેલ કરાવ્યા છે. આમ આદમી પાર્ટી હજુ પણ પંજાબમાં મોટો ચહેરો શોધી રહી છે. રાજકીય નિષ્ણાતો માને છે કે ઘણા કારણો છે જેના માટે એવું કહી શકાય કે સોનુ સૂદના રૂપમાં ‘આપ’ ની આ શોધનો અંત આવી શકે છે.
સોનુ સૂદ પોતે પંજાબના મોગાનો રહેવાસી છે. સ્વાભાવિક છે કે, જો આમ આદમી પાર્ટી આ સમયે સોનુ સૂદને પોતાની સાથે લાવવામાં સફળ થાય, તો તેના નામે બળવો થવાની અથવા વિપક્ષ તરફથી પ્રશ્નો ઉઠાવવાની શક્યતાઓ પણ નહી રહે . મસીહા તરીકે લોકપ્રિય બની ગયેલા સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં જોડાય તો પંજાબની ચૂંટણીમાં ચોક્કસપણે તેમને મોટા ચહેરા તરીકે મેદાનમાં ઉતારી શકાય છે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે આમ આદમી પાર્ટી તેમને મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર કરી શકે છે.