@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ઉત્તરપ્રદેશના પાંચથી વધુ રાજ્યોની ચૂંટણી ગાજી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં મંત્રીમંડળનો ગંજીપો બરાબર ચીપ્યો છે. એટલા માટે તો મોટાભાગના અખબારોએ મેગા મંત્રીમંડળનું નામ આપ્યું છે. વાત ખોટી પણ નથી. દરેક દૃષ્ટિકોણ સાથે આનું પૃથ્થકરણ કરીએ તો ચૂંટણી સહિત તમામ પાસાઓ લક્ષમાં રખાયા છે. ૧૫ જેટલા પ્રધાનોને દૂર કરાયાની વાત પણ નોંધનીય છે. ખાસ કરીને કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને શિક્ષણનો હવાલો સંભાળતા કેબિનેટના પ્રવક્તા સમાન પ્રકાશ જાવડેકરની વિદાય એક નહી અનેક રહસ્ય છોડી ગઈ છે. ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં ગુજરાતના સાત મંત્રીઓ છે. લોકસભામાં ચૂંટાયેલા ૨૬ પૈકી ચારને પ્રધાનપદ મળ્યા છે. રાજ્યસભામાં ચૂંટાયેલા ત્રણ સભ્યો મંત્રી છે. આ સરેરાશ કાઢીએ તો ઘણી વધી જાય છે. ૨૩ ટકા થવા જાય છે.
ગુજરાતમાં ૨૦૦૧થી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા તે ૧૩ વર્ષના ગાળામાં જેટલા પ્રધાનો હતા તેની ટકાવારીના પ્રમાણમાં મંત્રીઓની સંખ્યા વધારે છે. આમ છતાં સરકારીયા કમિશનની જે ભલામણો હતી તેના પ્રમાણમાં આ સંખ્યા કરતાં ચાર ઓછી છે. આનો અર્થ એ કે તેમણે ચાર જગ્યા ખાલી રાખી છે. કદાચ શીવસેના કે જગમોહન રેડીના પક્ષની ગણતરી રાખી હોય તેવું બની શકે.
વિવિધ અખબારોએ ખાસ નોંધ્યું છે કે ડોકટર એન્જિનિયર એમ.બી.એ. સહિતની લાયકાત ધરાવતા પ્રધાનો છે. જાે કે આઠ તો ડોકટરો છે. (જાે કે આમાનાં એક પણ ડોકટરને આરોગ્ય ખાતાનો હવાલો સોંપવામાં આવ્યો નથી). સવર્ણો ઓબીસી એસ.સી., એસ.ટી. અને લઘુમતી સહિત સમાજના તમામ વર્ગને પ્રતિનિધિત્વ અપાયું છે. જેમાં પારસી સમાજ પણ આવી જાય છે. ઉંમરની દૃષ્ટિએ વાત કરીએ તો વડાપ્રધાન મોદીની ઉંમર ૭૦ વર્ષની છે તો તેમના પ્રધાનમંડળમાં સૌથી મોટા એટલે કે ૭૨ વર્ષના મંત્રી સોમપ્રકાશ છે.
જ્યારે આ પ્રધાનમંડળમાં નિશીથ પ્રમાણિક, શાંતનુ ઠાકુર અને અનુપ્રિયા પટેલ ૪૦ કે તેથી ઓછી ઉંમરના મંત્રીઓ છે. વડાપ્રધાન મોદીની અગાઉની કેબિનેટમાં સરેરાશ ૫૯.૩૬ વર્ષની હતી અને આ વખતે ૫૮.૨ વર્ષ છે. અગાઉના પ્રધાનમંડળમાં સ્મૃતિ ઈરાની સૌથી યુવાન અને સ્વ. રામવિલાસ પાસવાન સૌથી વૃદ્ધ મંત્રી હતા. આ વખતે વડાપ્રધાન સહિત ૭૦ વર્ષથી વધુ ઉંમરના મંત્રી માત્ર ચાર છે. બધા તેનાથી ઓછી ઉંમરના છે. આમ મોદીના આ પ્રધાનમંડળમાં યુવાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ પ્રધાનમંડળમાં ૧૨ મંત્રીઓ ૫૦ થી ઓછી ઉંમરના છે. ભૂતકાળમાં આ સંખ્યા ઓછી હતી. નવા વિસ્તરણમાં નીશિથ પ્રમાણિકની ઉંમર માત્ર ૩૯ વર્ષ છે. તેઓ ૨૦૧૮માં ટીએમસી છોડી ભાજપમાં આવ્યા હતા અને ટીએમસી સામેનો પડકાર ઝીલી લોકસભાની ચૂંટણી પણ જીત્યા હતાં. આમ આ પ્રધાનમંડળને આઝાદી પછીનું યુવાઓનું વધુ પ્રતિનિધિત્વ ધરાવતું પ્રધાનમંડળ કહી શકાય તેમ છે.
હવે બુધવારે થયેલા મોદી પ્રધાનમંડળના વિસ્તરણ પહેલા કુલ ૧૪ પ્રધાનોએ રાજીનામા આપ્યા. ૩૬ નવા ચહેરાઓને કેબીનેટમાં જગ્યા મળી. ૭ મંત્રીઓને પ્રમોશન મળ્યું. એક સાથે સાત મંત્રીઓને આ રીતે પ્રમોશન આપવાનો આ છેલ્લા થોડા વર્ષોમાં સૌથી પ્રથમ બનાવ છે. હવે આછ દસ માસમાં યુ.પી., પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરમાં ચૂંટણી યોજાવાની છે. વિસ્તરણમાં જે ૩૬ નવા ચહેરા આવ્યા તેમાંથી સાત માત્ર ઉત્તરપ્રદેશના છે. યુપીના કુલ મંત્રીઓની સંખ્યા ૧૬ થઈ છે. ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતી રહ્યા પરંતુ હાલ તેઓ ઉત્તરપ્રદેશના વારાણસી મતવિસ્તારના સંસદસભ્ય છે. પંજાબના માત્ર સોમપ્રકાશ.ઉત્તરાખંડમાં રમેશ પોખરીયાલને હટાવી અજય ભટ્ટને સ્થાન મળ્યું છે. ગોવામાં એક મંત્રી યથાવત છે. જ્યારે મણિપુરને ૨૦૧૪ બાદ પ્રથમ વખત રાજકુમાર રંજનસિંહના સ્વરૂપમાં પ્રતિનિધિત્વ મળ્યું છે તે વાત નોંધવી જ પડે તેમ છે.
લોકસભાની બેઠકોની દૃષ્ટિએ વાત કરીએ તો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના ૮૦ સભ્યો છે તેમાંથી ૬૨ ભાજપ કે તેના સાથી પક્ષોના છે. આમ બેઠકની દૃષ્ટિએ યુપીને ૨૦ ટકા મંત્રીઓ મળ્યા છે. જ્યારે તેની સામે ગુજરાતને ગુજરાતમાં ૨૬ સાંસદો અને ૯ રાજ્યસભાના સાંસદો મળી ૩૫ની સંખ્યા છે તેમાં સાતને પ્રતિનિધિત્વ મળ્યું છે જે ૨૩ ટકા થાય છે એટલે ગુજરાત પર વડાપ્રધાન વધુ વરસ્યા છે અને વસતિ, સભ્યસંખ્યા સહિત સૌથી વધારે પ્રતિનિધિત્વ ગુજરાતને મળ્યું છે. જ્યારે ૪૮ સાંસદોની સંખ્યાવાળા મહારાષ્ટ્રને ૧૯ ટકા પ્રતિનિધિત્વ મળ્યું છે.
હવે કરોડપતિની દૃષ્ટિએ મૂલવીએ તો તે સંખ્યા ૨૦૧૪માં ૯૧.૩ ટકા હતી તે ૨૦૨૧માં ઘટીને ૮૯.૫ ટકા થઈ છે. જાે કે તટસ્થ વિશ્લેષકોના મત પ્રમાણે આ સંખ્યા જરાય ઓછી તો ન જ કહેવાય. ૮૯ ટકાથી વધુ પ્રધાનો કરોડપતિ છે. નવા વિસ્તરણ સાથે જે કુલ પ્રધાનો થાય છે તેમાં અમીર પ્રધાનોની યાદીમાં મધ્યપ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયા છે અને મહારાજાના નામે ઓળખાતા અને હજી એક વર્ષ પહેલા ભાજપમાં જાેડાયેલા આ મંત્રી પાસે ૩૭૯ કરોડની સંપત્તિ છે. જેમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રી પ્રતિમા ભૌમિક છે. આ નવી કેબિનેટમાં આઠ મંત્રીઓ એવા છે કે જેની સામે ૧ કરોડથી ઓછી સંપત્તિ છે.
અત્યારના સમીકરણો પ્રમાણે બંગાળમાં ૨૦૧૪થી મંત્રી રહેલા બાબુલ સુપ્રિયોનું રાજીનામું લઈ તેમના સ્થાને અન્ય ચારને પ્રતિનિધિત્વ અપાયું છે. આમ બંગાળને ઘણા લાંબા સમય પછી વધુ પ્રતિનિધિત્વ મળ્યું છે. બાબુલ સુપ્રિયો પોતે વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોવાથી તેમને હટાવાયા હોવાનું મનાય છે. હકિકતમાં બંગાળમાં ભાજપને મજબૂત બનાવવા દિલીપ ઘોષની સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યુ હોત તો તેમાં બાબુલ સુપ્રિયોનું નામ પહેલું આવે. જ્યારે તેલંગણાને તો પ્રમોશન મળ્યું છે. દિલ્હીમાંથી મિનાક્ષી લેખી જેવા ધારાશાસ્ત્રીને પ્રધાન બનાવી મહિલા અને ધારાસભ્ય બન્ને વર્ગનું પ્રતિનિધિત્વ જાળવી લેવાયું છે. જે નોંધવું જ પડે તેમ છે. જાે કે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનની એક્ઝીટ પણ વિચાર માગે તેવી છે. કદાચ કોરોનાની બીજી લહેર વખતે જે વ્યાપક ફરિયાદો ઉઠી તેના કારણે હર્ષવર્ધનનો ભોગ લેવાઈ ગયો હોય તેવું લાગે છે. ટૂંકમાં આ નવા પ્રધાનમંડળમાં ગુજરાત અને યુપીએ બન્નેનો દબદબો રહ્યો છે.