વર્તમાન સમયમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર એક બાદ એક પગલાઓ લઈ રહી છે. ગઈકાલે કોરોનાના દર્દીઓને હેરાન ગતિ ન થાય તે માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. હવે જે બાળકના માતા-પિતા કોરોના પોઝિટિવ આવ્યા હોય અને બાળકની સારસંભાળ ન રાખી શકે તેમ હોય તો તેવા બાળકોને ચાઇલ્ડ હોમ કે ગર્લ્સ હોમમા રાખવાની વ્યવસ્થા કરવી પડશે. આ અંગે રાજ્યના સામાજ સુરક્ષા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને આદેશ કરવામાં આવ્યો છે.
કોરોનાના બધા કહેર વચ્ચે રોજબરોજ એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેના વિશે પહેલા વિચારવામાં આવ્યું ન હોય. કોરોનાના સંક્રમણના કારણે ઘણી વખત સમગ્ર પરિવાર મુસીબતમાં મુકાઈ જતાં જોવા મળી રહ્યા છે. એમાં ઘણીવાર માતા-પિતા પોઝિટિવ હોય ત્યારે બાળકો નોધારા થઈ જતા હોય છે. આ બાબત રાજ્ય સરકારને ધ્યાનમાં આવતા રાજ્યના સામાજ સુરક્ષા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને આદેશ કરવામાં આવ્યો છે.બાળકના વાલી કોરોના પોઝિટિવ આવ્યા હોય તો તેના માટેની સંભાળ રાખવાની વ્યવસ્થા કરવી પડશે. જે જિલ્લાઓમાં ચાઇલ્ડ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ ન હોય તેના માટે 33 જિલ્લા માટે સંસ્થાઓ નક્કી કરવામાં આવી છે. જો બાળકને અન્ય જિલ્લામાં ચાઇલ્ડ હોમમાં મુકવાનો થાય તો છોકરી હોય તો તેની સાથે મહિલા કર્મચારીને ફરજિયાત મોકલવા પડશે. આ ઉપરાંત કોરોના મા માતા-પિતા બંનેનું અવસાન થયું હોય તો આવા બાળકોની યાદી બનાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,064 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 13,085 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,03,497 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 76.52 ટકાએ પહોંચ્યો હતો.રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,46,385 એક્ટિવ દર્દી છે, જે પૈકી 775 લોકો વેન્ટિલેટર પર છે અને 1,45,610 લોકો સ્ટેબલ છે. 5,03,497 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,154 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 5 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 4 દર્દીના મોત થયા છે.