કેન્દ્ર સરકારે મંગળવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ વર્ષે પદ્મ વિભૂષણ માટે કુલ ચાર નામોની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પદ્મ ભૂષણ માટે 17 હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય પદ્મશ્રી એવોર્ડ માટે 107 નામોની પસંદગી કરવામાં આવી છે.
વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારની જાહેરાતમાં 7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ, સુરતના સવજી ધોળકિયાને પદ્મ શ્રી, ડૉ.લતા દેસાઈ, માલજી દેસાઈને પદ્મ શ્રી, રમીલાબેન ગામીતને પદ્મ શ્રી, ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મ શ્રી, સન્માન આપવામાં આવશે.
- સચ્ચિદાનંદ સ્વામીને પદ્મભૂષણ-દંતાલી આશ્રમ, છારોડી (સાહિત્ય અને શિક્ષણ)
- ડૉ.લતા દેસાઈને પદ્મ શ્રી- (મેડિસિન)
- માલજીભાઈ દેસાઈને પદ્મ શ્રી- (પબ્લિક અફેયર્સ)
- ખલીલ ધનતેજવીને પદ્મ શ્રી- (સાહિત્ય અને શિક્ષણ)
- સવજી ધોળકીયાને પદ્મ શ્રી- સુરત (સામાજિક કાર્ય)
- જયંતકુમાર વ્યાસને પદ્મ શ્રી (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)
- રમિલાબહેન ગામિતને પદ્મ શ્રી (સામાજિક કાર્ય)
પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓમાં કોણ છે?
જેઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે, તેમાંથી ત્રણને આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર ભૂતપૂર્વ CDS જનરલ બિપિન રાવત (સિવિલ સર્વિસ), ભૂતપૂર્વ BJP નેતા કલ્યાણ સિંહ (જાહેર બાબતો) અને ગીતાપ્રેસ ગોરખપુરના પ્રમુખ રાધેશ્યામ ખેમકા (સાહિત્ય અને શિક્ષણ)ને મરણોત્તર આપવામાં આવ્યો હતો. આ સિવાય ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ડૉ પ્રભા અત્રેને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પદ્મ ભૂષણ એવોર્ડ કોને મળ્યો?
આ સિવાય પદ્મ ભૂષણ માટે જાહેર કરાયેલા 17 નામોમાંથી બેને આ એવોર્ડ મરણોત્તર આપવામાં આવશે. નેતાઓમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચારજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વર્ષે કુલ 4 વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. તો કુલ 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના 7 મહાનુભાવોને પદ્મ સન્માન આપવામાં આવશે.