નવી દિલ્હી,
મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાને ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ મેચમાં ટીમની અનુભવી બેટ્સમેન મિતાલી રાજને પ્લેઇંગ ઇલેવનમાં ન સમાવ્યા બાદ અનેક અટકળો સામે આવી હતી.
આ વચ્ચે મિતાલી રાજ દ્વારા હવે ટીમના કોચ રમેશ પવાર પર ચોકાવનારા આરોપ લગાવ્યા છે. રાજે દાવો કર્યો છે કે, ટીમ ઇન્ડીયાના આ કોચે તેઓનું અપમાન કર્યું હતું”.
જો કે આ સદર્ભમાં મિતાલી રાજ દ્વારા BCCIને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં આરોપ લગાવતા કહ્યું છે કે, “મારો ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સાથે કોઈ વિવાદ નથી, પરંતુ તેઓ કોચ રમેશ પવારના નિર્ણય સાથે હતી”.
તેઓએ વધુમાં કહ્યું, “રમેશ પવારે મને ટીમમાંથી બહાર કરવા માટેનો નિર્ણય કર્યો હતો. હું દેશ માટે વર્લ્ડકપ જીતવા માંગતી હતી અને તેનું મને દુઃખ છે કે ભારતીય ટીમે એક મહત્વનો મૌકો ગુમાવ્યો છે”.
આ ઉપરાંત મિતાલી રાજે COA સભ્ય ડાયના એદુલજી પર પણ ભેદભાવ કર્યા હોવાના આરોપ લગાવ્યા છે. રાજે લખ્યું છે કે, મને ખબર છે કે હું પત્ર લખીને જોખમ ઉઠાવી રહી છું. તેઓ COAના સભ્ય છે અને હું એક માત્ર ખેલાડી”.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ભારતનો ૮ વિકેટે પરાજય થયો હતો અને ત્યારબાદ ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયું હતું.