અમદાવાદ
પદ્માવત ફિલ્મની રીલીઝને સુપ્રિમ કોર્ટની લીલી ઝંડી ભલે મળી ગઇ હોય પરંતું, કરણીસેના અને મહાકાલ સેના જેવા સંગઠનોનો ભારે વિરોધ ચાલુ રહ્યો છે. ગઇકાલે અમદાવાદ નજીક બાવળાના હાઇ-વે પણ વાહનો સળગાવ્યા બાદ આજે અમદાવાદમાં મહાકાલ સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં મહાકાલ સેનાના પ્રમુખ સંજયસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આ આગ અનામતની નથી. જોહરની આગ છે. કાયદાની ઐસીતૈસી કરીને અમે અમદાવાદના સિનેમાઘરોમાં ફિલ્મને રીલીઝ થવા નહીં દઇએ.
સંજય સિંહ રાઠોડે સરકાર, સુપ્રીમ કોર્ટ અને સેન્સર પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર, સુપ્રીમ કોર્ટ અને સેન્સર રમત રમી રહ્યા છે.
આ ઉપરાંત તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યું કે, નાની નાની વાત પર ટ્વિટ કરતા મોદી કેમ આ મુદ્દા પર કઈ જ બોલતા નથી.
બીજી તરફ કરણીસેનાના ચીફ સુખદેવ સિંહે પણ સેન્સર બોર્ડ પર પ્રહારો કરતાં કહ્યું, તે તેઓ પ્રસુન જોશી(સેન્સર બોર્ડના ચેરમેન)ને રાજસ્થાનમાં ઘુસવા નહીં દે.
કરણીસેનાના પ્રમુખ મહિપાલ મકરાનાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, 24 જાન્યુઆરીએ ચિતોડગઢમાં 1826 રાજપુત મહિલાઓ જૌહર કરશે અને રાજસ્થાનના સિનેમાઘરોમા કરફ્યુ લાગશે.