વિશ્વભરમાં આતંકવાદીઓના સપ્લાયર દેશ બની ચુકેલા પાકિસ્તાનની અક્કલ હવે ઠેકાણે આવતી હોય તેવું લાગી રહ્યું છે અથવા તો એફએટીએફથી બચવા નાટક કરીને કોઇ ષડયંત્ર પણ રચી રહ્યું હોય. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શાંતિનો રાગ આલાપ્યા બાદ હવે તેના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ પણ ભારત સાથે જુની વાતોને ભુલીને શાંતિ અને વાતચીત માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. ભારત સાથે કારણ વગર ટકરાઇને પોતાને બરબાદીના પંથે લઇ જઇ રહેલા પાકિસ્તાનના સેના પ્રમુખે કહ્યું કે કાશ્મીર જેવા મુદ્દના કારણે દક્ષિણ એશિયા ગરીબીમાં જઇ રહ્યું છે. વિકાસના બદલે પૈસા હથિયારો પર ખર્ચ કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડૉનના રિપોર્ટ અનુસાર, ઇસ્લામાબાદમાં નેશનલ સિક્યોરિટી ડાયલૉગને સંબોધિત કરતાં કહ્યું કે સેના પ્રમુખ બાજવાએ કહ્યું કે કાશ્મીર જેવા મુદ્દાનું સામાધાન કાઢવું જરુરી છે અને સમય છે કે ભારત અને પાકિસ્તાન જુની વાતોને ભૂલીને આગળ વધે. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાનના સ્થિર સંબંધોથી દક્ષિણ અને મધ્ય એશિયામાં સંપર્ક વધશે. તેમાં ઘણી સંભાવના છે પરંતુ બે પરમાણુ સંપન્ન પડોશિયોમાં વિવાદને કારણે આમ નથી થઇ રહ્યું.
બાજવાએ કહ્યું કે કાશ્મીર મુદ્દો આના કેન્દ્રમાં છે. એ સમજવું મહત્વનું છે કે કાશ્મીર વિવાદનું શાંતિપૂર્વક સમાધાન થયા વગર ઉપમહાદ્ધિપિય તાલમેલની પ્રક્રિયા પૂરી નહીં થઇ શકે. તેમણે કહ્યું કે અમે અનુભવ કરીએ છીએ કે આપણે ઇતિહાસને ભુલીને આગળ વધવું જોઇએ. જો કે તેમણે એમ પણ કહ્યું કે વાતચીત ભારત પર નિર્ભર છે. મહત્વનું છે કે એક દિવસ અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ કહ્યું હતું કે સંબંધોને સામાન્ય બનાવવા માટે ભારતે પહેલ કરવી પડશે.