ઈસ્લામાબાદ,
પાકિસ્તાનની ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો પર હુમલો થયાની ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે. બિલાવલ ભુટ્ટો પર લાકડી-ધોકા અને પથ્થરવડે હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમની જાન બચી ગઈ હતી. બેનઝીર ભુટ્ટોનું મોત એક બોમ્બ ધમાકામાં થયું હતું ત્યારબાદ બિલાવાર ભુટ્ટોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો તો પણ તેમના કાફિલા પર હુમલો થતા તેને ચિંતાજનક બતાવવામાં આવી રહી છે.
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)ના ગઢ લ્યારીમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પાર્ટી અધ્યક્ષ બિલાવલના કાફલા પર થયેલ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે, જ્યારે મોટાભાગના વાહનોને નુકશાન થયુ છે.
જોકે પાર્ટી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોને કોઈ ઈજા થઈ નથી. પોલીસના જણાવ્યા મુજબ, બિલાવલ ભુટ્ટો લ્યારીના બગદાદી વિસ્તારમાં ચુંટણી પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન લગભગ 100 પ્રદર્શનકારીઓએ બિલાવલ પરત ફરોના નારા લગાવ્યા હતા અને તેના કાફલા પર પથ્થરમારો શરુ કર્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ, પીપીપી અધ્યક્ષ બિલાવલને કોઈ ઈજા થઈ નથી. જોકે ઘટનામાં એક ટ્રક અને એક કારને નુકશાન થયુ છે. લ્યારી પીપીપીની પારંપરીક સીટ છે અને બિલાવલ એનએ 247 બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં 25 જુલાઈએ સામાન્ય ચુંટણી યોજાવાની છે. બિલાવલ એ પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર અને પીપીપી સંસ્થાપક જુલ્ફકાર અલી ભુટ્ટોના પૌત્ર છે. બિલાવલ પ્રથમ વખત સામાન્ય ચુંટણીમાં ઉભા છે. ત્યારે તેમના પર આ હુમલાનો પ્રયાસ થતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. આ ઘટના પછી બિલાવારની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.