ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ હાલ રાજ્યભરમાં સત્તા બચાવવા તેમજ ૧૫૦ + સીટના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે કમર કસી છે ત્યારે સોમવારે ગાંધીનગરના ભાટ ગામ ખાતે ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પર એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ મહા સંમેલનના મંચ પર ઉપસ્તિથ રહેશે.
આ મહાસંમેલન બપોરે ૩ વાગે શરુ થશે, અને પીએમ મોદી બીજેપી કાર્યકર્તાઓ અને ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ઉપસ્તિથ ૭ લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણી હાલ ભાજપ માટે હાલ “કરો યા મરો” સમાન બની ચુકી છે ત્યારે છેલ્લા ૧૨ મહિનામાં પીએમ મોદીનો આ ૧૪ મો ગુજરાત પ્રવાસ છે જયારે છેલ્લા ૩૦ દિવસમાં ચોથી વાર ગૃહ રાજયમાં આવી રહ્યા છે.