નાગરિકતા સુધારણા અધિનિયમ અંગે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ સમય દરમિયાન પ્રદર્શનકારીઓએ બસોને આગ ચાંપી હતી, પોલીસ વાહનોને પણ નુકસાન પહોચાડવામા આવ્યા હતા અને પથ્થરમારો કરાયો હતો. જેના જવાબમાં પોલીસે ટીયર ગેસનાં શેલ છોડી પ્રદર્શનકારીઓને તીતર વીતર કરવાનો પ્રયત્ન કર્યો હતો. વળી, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનાં કેમ્પસમાં પોલીસ કાર્યવાહી અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, જેના પર દેશનાં ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે.
એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલનાં એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે જામિયા હિંસા અંગેનાં સવાલોનાં જવાબો આપ્યા હતા. જામિયા સિવાય અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંસક પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે, દેશની મોટાભાગની યુનિવર્સિટીઓમાં પરિસ્થિતિ સામાન્ય છે. અમિત શાહે કહ્યું કે, ઘણા વિદ્યાર્થીઓએ સિટિઝનશિપ એક્ટ સંપૂર્ણ રીતે વાંચ્યો નથી અને સાથે તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
વળી, પોલીસની કાર્યવાહી પર ગૃહમંત્રીએ કહ્યું કે, જો વિદ્યાર્થીઓ પથ્થરમારો કરશે તો પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડશે. શાહે કહ્યું કે જો તેઓને લાગે છે કે કંઇક ખોટું છે, તો ભારતીય જનતા પાર્ટીનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. શાહે કહ્યું કે, આ કાયદા દ્વારા કોઈની પણ નાગરિકતા છીનવવામાં આવી રહી નથી, આ એક્ટ નાગરિકતા આપવા માટે છે.
દિલ્હી પોલીસે જામિયા મિલિયા ઇસ્લામિયાનાં પુસ્તકાલયમાં પ્રવેશ કર્યો હોવાના આક્ષેપ પર તેમણે કહ્યું હતું કે, જો ત્યાં પથ્થરમારો, આગ લગાડવી, બસો સળગાવવી, કોઈની કાર સળગાવવામાં આવી હોય તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મજબૂર હતી. શાહે કહ્યું કે, જ્યારે હિંસા ફેલાવામા આવી રહી છે ત્યારે તેને રોકવુ પોલીસની ફરજ અને ધર્મ પણ છે. શાહે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ અને શાંતિ પુનઃસ્થાપિત થવી જોઈએ, આ સરકારની પહેલી પ્રાથમિકતા છે અને આ માટે પોલીસને યોગ્ય સૂચના આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.