જસદણ ચૂંટણીના પરિણામ અંગે કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાએ આપી પ્રતિક્રિયા
અમદાવાદ: જસદણ પેટા ચૂંટણીના પરિણામ બાદ પ્રદેશ કોંગેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. બંને નેતાઓએ BJP પર સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
જસદણની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.જેમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી ઉછીના લઈ ગયેલા ઉમેદવારના કારણે BJP જસદણમાં જીતી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભાજપએ આ ચૂંટણી જીતવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરી યુક્તિ પ્રયુક્તિઓથી આ ચૂંટણી જીતી છે. રાજ્ય સરકારની તમામ મશીનરી જસદણમાં ઉતરી હોવા છતાં કોંગ્રેસના અવસર નાકિયાએ BJP સરકારના કેબિનેટ મંત્રીને જોરદાર ટક્કર આપી છે. આ ટક્કર આપવામાં મતદારોએ જે સાથ આપ્યો તે બદલ અમિત ચાવડાએ મતદારોનો આભાર માન્યો હતો.
સામાન્ય માણસના સ્વાભિમાનને કચડવા ભાજપે સફળતા મેળવી: પરેશ ધાનાણી
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી અંગે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ હાર સ્વીકારી છે અને તેમણે જણાવ્યું હતું કે, અમે જનતાના જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ.
વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, જસદણની પેટા ચૂંટણી સામાન્ય માણસ અને ભાજપ સરકાર વચ્ચે સીધો જંગ હતો.
ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય માણસ સામે સીએમ અને બે કેબિનેટ મંત્રીઓના આ મતવિસ્તાર છે. જો કે ભાજપે સામાન્ય ઉમેદવારને હરાવવા માટે ધનબળ અને સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે. એટલું જ નહી, સામાન્ય માણસના સ્વાભિમાનને કચડવામાં ભાજપે સફળતા મેળવી છે.