કોટા: પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
રાજસ્થાનના કોટામાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, કોંગ્રેસે આ દેશને ચાર ગાંધી આપ્યા છે. રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી. જયારે બીજેપીએ આપણને ત્રણ મોદી આપ્યા. નીરવ મોદી, લલિત મોદી અને ત્રીજા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ૨૦૦ બેઠકો માટે રાજસ્થાનમાં તા. 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણી અંતર્ગત નવજોત સિંહ સિદ્ધુ કોટા ખાતે પક્ષના પ્રચાર માટે આવ્યા હતા.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ આ અગાઉ અલવરમાં ચૂંટણી સભાને સંબોધતા વિવાદિત નિવેદન કર્યું હતું. આ સભામાં સિદ્ધુએ રાફેલ વિમાનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે, 500 કરોડનું પ્લેન 1600 કરોડમાં? 1100 કરોડ કોના ખિસ્સામાં ગયા, અંદરની વાત કોની માટે હતી? ચોકીદારનો કુતરો પણ ચોરની સાથે મળી ગયો છે.
સિદ્ધુના આ વિવાદિત નિવેદન અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સાર્વજનિક સંવાદના સ્તરને પીએમ મોદીએ નીચે પાડ્યું છે. પીએમે વિચારવું પડશે કે, તેઓ કેવો સંવાદ કરવા માંગે છે.
સીએમ વસુંધરા પર પણ કર્યો પ્રહાર
આ અગય ખૈરથલમાં નવજોત સિંહ સિદ્ધુએ પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, સીએમ વસુંધરા રાજે અને કેન્દ્રીય મંત્રીઓ પર નિશાન સાધ્યું હતું.
સિદ્ધુએ કહ્યું હતું કે, બુલેટ ટ્રેન જાપાનથી લઇ આવ્યા, સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ચીનથી લઇ આવ્યા અને અહીયાના લોકો ફક્ત પકોડા બનાવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ જંગ ખેડૂતોની છે. વસુંધરાની નીતિઓથી રાજસ્થાનને સૌથી પછાત વિસ્તારનો ખિતાબ અપાવી દીધો છે.
રાજસ્થાન સરકાર ૭૮ લાખ ટનમાંથી માત્ર ચાર લાખ ટન અનાજ ઉઠાવી શકી છે. વીજળી અને પાણીના ભાવ વધી ગયા છે અને મહારાણી મહેલોમાં બેસીને રાજ કરી રહી છે.