હૈદરાબાદ: બડબોલા મુસ્લિમ નેતા, ઓલ ઈન્ડિયા મજલિસ-એ- ઈત્તેહાદુલ મુસ્લિમિન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઔવેસીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાની શાણી શિખામણ આપતા જણાવ્યું હતું કે, લઘુમતિઓનાં હિતો અને હક્કોનું રક્ષણ કરવું હોય તો પાકિસ્તાને ભારત પાસેથી શીખવાની તાતી જરૂરિયાત છે.
તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એવું કહ્યું હતું કે, ભારતમાં લઘુમતિઓનાં અધિકારોનું હનન થાય છે અને આ મામલામાં પાકિસ્તાન પાડોશી દેશ ભારત માટે પથદર્શક બનશે.
પાકિસ્તાનમાં ફક્ત મુસ્લિમ જ પ્રેસિડેન્ટ બની શકે પણ ભારતમાં દરેક: ઔવેસીએ કાઢી ઈમરાનની ઝાટકણી
અસાદુદ્દીન ઔવેસીએ તેની ટ્વીટ લખ્યું છે કે, સૌને સાથે લઈને ચાલવાની બાબતમાં અને લઘુમતિઓનાં હક્કો અને અધિકારોની બાબતમાં પાકિસ્તાને ભારત પાસેથી શીખવાની ઘણી જરૂરિયાત છે. પાકિસ્તાનનાં બંધારણ પ્રમાણે, પાકિસ્તાનમાં માત્ર મુસ્લિમ જ પ્રેસિડેન્ટ બની શકે છે જ્યારે ભારતમાં દબાયેલા અને કચડાયેલા વર્ગોમાંથી પણ ઘણાં લોકો પ્રેસિડેન્ટ બની ચૂક્યા છે. એટલે હવે સમય પાકી ગયો છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તમે અમારી (ભારત) પાસેથી આ મામલે શીખો”.
ફિલ્મસ્ટાર નસરુદ્દીન શાહના નિવેદનથી ચગેલા વિવાદમાં ઈમરાન ખાને ઝંપલાવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે એવું નિવેદન આપ્યું હતું કે, ભારતમાં તેમની સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત નથી. આ નિવેદનને લઈને પણ દેશમાં ભારે વિવાદ ચગ્યો હતો અને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન પણ આ વિવાદમાં કૂદી પડ્યા હતા.
જો કે, હવે ભારતના અસાદુદ્દીન ઔવેસી જેવા મુસ્લિમ નેતાઓ પણ ઈમરાન ખાનને સલાહ આપતા થઈ ગયા છે કે, ભારત દેશની સહિષ્ણુતા વિશે પાડોશી દેશોએ શીખ લેવાની ખૂબ જરૂરિયાત છે. ભારતે બંધારણીય રીતે બિનસાંપ્રદાયિક લોકશાહીને સ્વીકારી છે.