એેન. રંગાસ્વામીને ચહેરો બનાવી તેમના પક્ષ એન.આર. કોંગ્રેસને ૧૬ બેઠકો ફાળવી, એન.ડી.એ. ૧૪ બેઠકો લડશે
પોંડીચેરી ભાજપ માટે નવી પ્રયોગશાળા બનશે કે શું ?
@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં શરૂ થઈ ગયો છે. ભાજપે ભલે પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગને વધુ પ્રાધાન્ય આપ્યું હોય પણ દક્ષિણના જે ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેને પણ જરાય ઓછું મહત્ત્વ આપ્યું નથી. તમિલનાડુમાં અન્ના ડીએમકેની આંગળી પકડી છે તો કેરળમાં ખ્રિસ્તી સમાજના એક વર્ગને સાથે રાખીને અને મેટ્રોમેન શ્રીધરન જેવા વ્યસ્ક છતાં વહીવટી આંટીઘૂંટીના જાણકાર ચહેરાને આગળ ધરી ચૂંટણીમાં ઝંપલાવી ડાબેરીઓ અને કોંગ્રેસ પ્રેરિત મોરચાને વારાફરતી તક આપતા આ રાજ્યમાં પોતાનો પગદંડો જમાવવા પ્રયાસ શરૂ કર્યો છે. જ્યારે પૂર્વના રાજ્ય આસામમાં તો ભાજપને પોતાની સરકાર ફરીવાર રચાય તે માટે જ જંગ ખેલવાનો છે અને આ પ્રમાણમાં સરળ છે. જેને પોંડીચેરી કે પુંડીચેરી કહેવામાં આવે છે તે નાનકડું પણ કેન્દ્રશાસિત રાજ્ય છે. ત્યાં લાંબા સમયથી કોંગ્રેસના મુખ્યમંત્રી પદવાળી સરકાર ડીએમકેના ટેકાથી ચાલતી હતી. પોંડીચેરીના મુખ્યમંત્રી તરીકે મનમોહનસિંઘની સરકારમાં મહત્ત્વના પ્રધાન તરીકે કામ કરી ચૂકેલા નારાયણ શામીના હાથમાં સૂકાન હતું. તેમની સામે અસંતોષ હતો અને આ અસંતોષનો લાભ ઉઠાવવા ભાજપે બરોબરનો દાવ ગોઠવ્યો. પહેલાં આ અસંતોષને વેગ આપી કોંગ્રેસી શાસનથી નારાજ તે જ પક્ષના પાંચ અને તેના સાથી પક્ષ ડીએમકેના એક ધારાસભ્યને અલગ પાડીને નારાયણ સામી સરકારને લઘુમતીમાં મૂકી રાજીનામું આપવા ફરજ પાડી અને પછી ત્યાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદી દીધું. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી હારી ચૂકેલા કિરણ બેદીને હરાવીને ત્યાં ઉપરાજ્યપાલ તરીકે બીજા અધિકારીને મૂકી દીધા. હવે ત્યાં ભાજપે નવો વ્યૂહ ગોઠવ્યો છે.
પોંડીચેરીમાં ભાજપે પગદંડો જમાવવા માટે કેરળની જેમ સીધી રીતે મેદાનમાં ઉતરવાને બદલે કોંગ્રેસથી અલગ પડેલા જૂથને પક્ષનું સ્વરૂપ અપાવ્યું અને તેના સહારે અથવા તો બીજી ભાષામાં કહીએ તો તેના ખભા પર બંદૂક મૂકીને ફોડવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે આ વખતે કોઈપણ ભોગે સીધી યા આડકતરી રીતે પોંડીચેરીમાં સત્તા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અત્યારે જે વ્યૂહ સાથે ભાજપ મેદાનમાં ઉતર્યો છે તે જોતા તેણે નારાજ કોંગ્રેસી નેતાઓને સાથે લઈ લીધા છે. કોંગ્રેસ છોડી સાથે લઈ લીધા છે. કોંગ્રેસી છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યોને ટિકિટ આપી ૧૪ બેઠકો પર નામો પણ જાહેર કરી દીધા છે. તો ભૂતકાળમાં કોંગ્રેસી શાસન દરમિયાન આ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા એન. રંગાસ્વામીની આગેવાની હેઠળના પક્ષ એન.આર. કોંગ્રેસને મહત્ત્વ આપીને રંગાસ્વામીના નેતૃત્વ હેઠળ જ ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. પહેલાં તો ભાજપે તાજેતરમાં નારાયણ શામીનો સાથ છોડીને આવેલા અસંતુષ્ઠ નેતા નમઃ શિવાયને પોંડીચેરી ટીમ ભાજપના મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે જાહેર કરવાનો ઈરાદો હતો. પરંતુ રંગાસ્વામીનો પક્ષ આ માટે રાજી નહોતો.
પોંડીચેરીમાં એકવાર તો પગપેસારો કરી લઈએ પછી રંગાસ્વામીને પણ પંજાબમાં અકાલીદળ, અરૂણાચલમાં જેડીયુ અને મહારાષ્ટ્રમાં શીવસેનાની જેમ જોઈ લેવાશે તેવા ગણિત સાથે હવે રંગાસ્વામી નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કરી દીધો એટલું જ નહિ, પરંતુ રંગાસ્વામીના પક્ષને પોંડીચેરી (પુંડીચેરી) વિધાનસભાની ૩૦ પૈકી ૧૬ બેઠકો ફાળવી દીધી છે. ભાજપ એટલે કે એન.ડી.એ. ૧૪ બેઠકો લડશે. જોકે અન્ના ડીએમકે પોતાની તમિલનાડુની સત્તા જાળવવામાં વ્યસ્ત છે અને તેની પાછળ જ ધ્યાન દેવા માગે છે. તેથી પોંડીચેરી તેમે ભાજપ માટે છોડી દીધું છે. આમ તમિલનાડુમાં ડીએમકે કોંગ્રેસના ગઠબંધન સામે લડી લેવા અને સત્તા જાળવવા અન્ના ડીએમકે મોટાભાઈ અને ભાજપ નાનાભાઈની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેવી જ રીતે પોંડીચેરીમાં ભાજપે અન્ના ડીએમકેનો સહારો લઈને કોંગ્રેસ છોડીને આવેલા પક્ષપલ્ટુઓને ટિકિટ આપીને તેમજ ભુતપૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી એન. રંગાસ્વામીની આંગળી પકડીને પોંડીચેરીમાં રાજકીય તાકાત બતાવાનો ગેઈમપ્લાન બનાવી તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. આવતા દિવસોમાં આ નાનકડા રાજ્યમાં પણ ભાજપના મોટા ગજાના નેતાઓની ફોજ જોવા મળશે.
દક્ષિણ ભારતમાં ભાજપનો હવાલો સંભાળનારા નેતા નિર્મળકુમાર સુરાણા કહે છે કે ભાજપ સામે કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલ્ટુઓન્ને આશ્રય આપવાનો આક્ષેપ મૂકાય છે પરંતુ ભૂતકાળમાં કોંગ્રેસે પણ ઉત્તરના તમામ રાજ્યોમાં આજ ધંધો કર્યો છે. જો કે આડકતરી રીતે સુરાણા એ વાત પણ સ્વીકારે છે કે અમારા માટે આ સિવાય બીજાે વિકલ્પ નહોતો અને બીજી બાજુ એમ કહે છે કે પહેલા નારાજ કોંગ્રેસીઓ માટે પણ ક્યાં જવું એ સમસ્યા હતી અને તેઓ નારાજ હતા. પણ વિકલ્પના અભાવે કોંગ્રેસમાં સમસમીને બેસી રહ્યા હતાં હવે ભાજપે તેમને વિકલ્પ આપ્યો છે. તેમનો એવો દાવો છે કે આવતા દિવસોમાં પોંડીચેરી જ નહિ પરંતુ તમિલનાડુના ડીએમકેથી નારાજ થયેલા અને ભૂતકાળમાં પોતાનો અલગ પક્ષ બનાવી ચૂકેલા ઘણા નેતાઓ ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. તેમનો ઈશારો પૂર્વ કેન્દ્રીય મંત્રી અતુલ વાસન તરફ છે તે સમજી શકાય તેવી વાત છે.
પોંડીચેરમાં આવતા દિવસોમાં મોદી શાહ અને જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ અને કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા સહતના નેતાઓની રેલીઓ યોજવા માટે કાર્યક્રમ તૈયાર કર્યો છે. આમ અન્ય મોટા રાજ્યોની જેમ પોંડીચેરીમાં પણ ભાજપે આક્રમક પ્રચારની રણનીતિ બનાવી છે.
નારાયણ સામી સરકારના પતન બાબતમાં ભાજપની નેતાગીરી ઉંઘતી ઝડપાઈ ગઈ છે પરંતુ ત્યારબાદ રાહુલ ગાંધી આણી મંડળી જાગી છે, દક્ષિણને વધુ મહત્ત્વ આપનાર અને હાલ કેરળમાંથી સંસદસભ્ય બનેલા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ અત્યાર સુધીમાં બે વખત પોંડીચેરી આવી ચૂક્યા છે. સભાઓ પણ સંબોધી છે. હજી પણ આવતા દિવસોમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પોંડીચેરી આવશે.
જો કે આ અંગે નિરિક્ષકો અને દક્ષિણ ભારતના ઘણા અખબારોએ એવી નોંધ પણ લીધી છે કે હકિકતમાં ભાજપ નાનાભાઈ બનીને પણ પોંડીચેરીમાં પગ ઘૂસાડવા માગે છે જેથી ભવિષ્યમાં આ પગ પહોળા કરીને મહારાષ્ટ્ર અને બિહારમાં જેમ વધુ બેઠકો મેળવવાનો ક્રમ શરૂ કર્યો તે ઇતિહાસનું પુનરાવર્તન કરી શકાય. આ અંગે તમિલનાડુ કોંગ્રેસના ઘણા નેતાઓ અને પૌડીચેરીમાં હજી સુધી કોંગ્રેસને જ વફાદાર રહેલા નેતાઓ કહે છે કે પોંડીચેરીમાં મર્યાદિત સત્તા વચ્ચે પણ કોંગ્રેસે કામ કર્યું છે અને તેના સહારે ત્યાં કોંગ્રેસ ડીએમકે ગઠબંધન ફરી સત્તા મેળવશે. ઘણા એમ કહે છે કે પોંડીચેરીમાં કોંગ્રેસ પાસે પોતાની તાકાત છે. જ્યારે ભાજપ ત્યાં કોંગ્રેસ પાસેથી ઉછીની લીધેલી તાકાત સાથે ચૂંટણી લડવા માગે છે અને પ્રચાર માટે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જ આધાર રાખવો પડે તેવી હાલત છે. જો કે અન્ય વિશ્લેષકો એમ પણ કહે છે કે રાજકારણમાં બધું ચાલે. પોતાના ખભો મજબૂત ન હોય તો બીજાનો ખભો લેવો જ પડે.