છેલ્લા ઘણા સમયથી યુક્રેનમાં યુદ્વની સ્થિતિ સર્જાઇ છે ,રશિયા આ મામલે કોઇપણ સમયે હુમલો કરી શકે છે તેણે હાલ સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. આ યુક્રેનમાં ભારતમાંથી અનેક વિધાર્થીઓ અભ્યાસ માટે ત્યાં ગયા છે,સૈાથી વધારે મેડિકલના વિધાર્થીઓ છે. તેમને પરત નીકાળવા માટે સરકાર હાલ સક્રીય છે. ગુજરાતના વડોદરાને 150 વિધાર્થીઓ ત્યાં હાલ છે. રશિયા સાથે ચાલી રહેલા તણાવને પગલે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતાં વડોદરાના 150થીવધુ વિદ્યાર્થીઓને તેમના લગેજ પેક રાખવા માટેની સૂચના એજન્ટોએ આપી છે. જેને પગલે વેસ્ટર્ન યુક્રેનના ચેર્નિવત્સી શહેરમાં બુકોવિના સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વડોદરાના વિદ્યાર્થીઓ ભારત પરત આવવાની તૈયારી કરી રહ્યા છે.
યુક્રેન પેરેન્ટ્સ એસો.ના અજયકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે , કેન્દ્ર સરકારની મદદ લઇ વિદ્યાર્થીઓને પરત લાવવા મદદ કરવા માંગણી કરી છે અને એરલાઈન્સ દ્વારા વધુ ભાડું વસૂલ કરવામાં આવી રહ્યા છે તે અટકાવવા પણ જણાવ્યું છે. સમગ્ર ભારતના 18000 વિદ્યાર્થીઓ યુક્રેન દેશમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં 3000થી 4000 જેટલા વિદ્યાર્થી ગુજરાત રાજ્યના છે.
તે બધા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. વાલીઓએ વિદેશ મંત્રાલયનાં સહયોગથી તેમજ ઉડ્ડયન મંત્રાલયનાં સહયોગથી એર ઇન્ડિયાની ફ્લાઇટ અથવા ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પરત લાવવામાં મદદરૂપ થાય તેવો નિર્ણય લેવા વિનંતી કરી છે. તેમણે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ રજૂઆત કરી હતી. મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, યુક્રેનની સ્થિતિ જોઈને છેલ્લા 2 મહિનાથી સરકાર કાર્યરત છે. ગુજરાત તમામ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લવાશે. કેન્દ્રને રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાશે.
વડોદરા સાંસદ રંજનબેને જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયમાં ઇ-મેઇલ કરીને જાણ કરાઇ છે ,વડોદરાના વિદ્યાર્થીઓના નંબર એમ્બેસીને આપી તમામ જરૂરિયાતનું ધ્યાન રાખવા કહેવાયું છે. વિદ્યાર્થીઓને પરત આવવું હશે તો એમ્બેસીએ તૈયારી રાખી છે. મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીએ પણ વિદેશ મંત્રાલય સાથે વાત કરી છે.