રાજ્યમા કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે.જેના લીધે કોરોનાગ્રસ્ત દર્દીઓનું મરણ પણ વધી રહ્યું છે ત્યારે નર્મદા કિનારે મૃતકોના અસ્થિ વિસર્જન માટે લાંબી કતારો લાગી રહી છે નર્મદા કિનારે અસ્થિ વિસર્જન કરવા ગુજરાતમાંથી રોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.એ જોતા કરનાળી જૂથ ગ્રામ પંચાયતે બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિ વિસર્જન કરવા આવતા લોકો માટે પ્રતિબંધ મૂક્યો છે. બહારના લોકો માટે પ્રવેશ બંધ કરી દીધો છે.
કરનાળી જૂથ ગ્રામ પંચાયતે જાહેર જનતાને વિનતી કરી છે કે કોરોનાનો વધુ ફેલાવો ન થાય તે માટે કરનાળી ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગામ બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિવિસર્જન કરનારાઓએ કરનાળી ગામમાં પ્રવેશ કરવો નહીં. આ નિર્ણયથી મૃત્યુ બાદ પવિત્ર નર્મદા નદીમાં અને ત્રિવેણી સંગમ ચાંદોદ- કરનાળી ખાતે અસ્થિ વિસર્જનની આસ્થા પણ કોરોનાએ છીનવી લીધી છે.