બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા માટે 24મી સપ્ટેમ્બર ખૂબ જ ખાસ દિવસ છે. સગાઈ થયાના લગભગ સાડા ચાર મહિના બાદ આજે બંને લગ્નના બંધનમાં બંધાયા છે. બંનેએ રવિવારે તેમના પરિવાર અને મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. થોડા દિવસો પહેલા જ બંનેના લગ્નનું કાર્ડ સામે આવ્યું હતું, જેના પછી બંને ચર્ચામાં આવ્યા હતા.
બંનેએ પોતાના લગ્ન સ્થળ તરીકે ઉદયપુરના સુંદર લીલા પેલેસને પસંદ કર્યો હતો. 23 સપ્ટેમ્બરથી લગ્નની વિધિઓ શરૂ થઈ હતી અને ત્યારબાદ 24 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યાની આસપાસ બંનેએ લગ્ન કરી લીધા હતા. આપને જણાવી દઈએ કે, લગભગ 1 વાગે રાઘવ ચડ્ઢાની સેહરાબંધી થઈ હતી. ત્યાર બાદ પરિણીતીને લાવવા માટે તેઓ લેક પેલેસથી જાન સાથે બોટમાં બેસીને લીલા પેલેસ પહોંચ્યા હતા. લીલા પેલેસમાં લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ અને પછી બંને સાત જન્મના અતૂટ બંધનમાં બંધાઈ ગયા.
ઉલ્લેખનીય છે કે પરિણીતી બોલિવૂડની દુનિયામાં જાણીતું નામ છે, તો બીજી તરફ રાઘવ ચઢ્ઢા રાજકારણમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. આવી સ્થિતિમાં આ લગ્નમાં બંને વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો. આ લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, સાનિયા મિર્ઝા, પ્રખ્યાત બોલિવૂડ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને અન્ય ઘણા લોકો સામેલ થયા હતા.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના ચાહકો પણ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે બંનેના લગ્ન થઈ ગયા છે ત્યારે સોશિયલ મીડિયા પર બંનેને તેમના ફેન્સ તરફથી અભિનંદન મળી રહ્યા છે.