પુષ્કર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગોત્ર અંગે અવાર નવાર બીજેપી દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં આજે રાજસ્થાનના પ્રવાસ દરમિયાન પુષ્કર ખાતેના સુપ્રસિદ્ધ બ્રહ્મા મંદિરમાં પૂજા કરતા સમયે રાહુલ ગાંધીએ પોતાને કૌલ બ્રાહ્મણ અને દત્તાત્રય ગોત્ર હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનના પ્રવાસે આવ્યા છે. જેમાં રાહુલ ગાંધીએ પોતાના પ્રવાસનો પ્રારંભ અજમેરના ખ્વાજા ગરીબ નવાઝની મજાર પર માથું ટેકવીને કર્યો હતો. આ પછી રાહુલ ગાંધી પુષ્કરના સુપ્રસિદ્ધ બ્રહ્મા મંદિરમાં દર્શનાર્થે ગયા હતા. રાહુલ ગાંધીએ બ્રહ્મા મંદિરમાં પૂજા પણ કરી હતી.
બ્રહ્મા મંદિરની મુલાકાતની ખાસ વાત એ છે કે, અહી પૂજા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના ગોત્રનું નામ જાહેર કર્યું હતું. એટલું જ નહિ રાહુલ ગાંધીએ પોતાની જાતને કૌલ બ્રાહ્મણ ગણાવ્યા હતા અને દત્તાત્રેય ગોત્રના નામોલ્લેખ સાથે પૂજા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગૌત્રને લઈને બીજેપી દ્વારા અનેક વખત કોંગ્રેસ અધ્યક્ષને નિશાન બનાવવામાં આવ્યા છે. એટલું જ નહી બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ તો રાહુલ ગાંધી પર તેમનું ગોત્ર ન જણાવવાનો આરોપ મૂકી દીધો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આજે પોખરણ, જાલોર અને જોધપુરમાં જાહેરસભાને સંબોધવામાં આવી હતી.
આવું બીજી વખત બન્યું છે કે, જ્યારે રાહુલ ગાંધીએ અજમેર શરીફમાં માથું ટેકવ્યું છે. રાહુલ ગાંધીએ આ અંગે ટ્વીટ પણ કર્યું હતું કે, તેઓ રાજસ્થાન પ્રવાસનો પ્રારંભ દરગાહ અને મંદિરમાં માથું ઝૂકાવીને કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વિધાનસભાની 200 બેઠકો માટે આગામી તા. 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જયારે તા. 11 ડિસેમ્બરના રોજ અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની સાથે જ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.