દુબઈ,
યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપની અંતિમ મેચમાં બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી, ત્યારે હવે શનિવારે બાંગ્લા ટાઈગર્સનો મુકાબલો આ ટુર્નામેન્ટમાં અત્યારસુધીમાં અજેય રહેલી ભારતીય ટીમ સામે થશે. ભારતીય સમય અનુસાર, આ મુકાબલો સાંજે ૫ વાગ્યે શરુ થશે.
વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલા રોહિત શર્માની કેપ્ટનશીમાં ભારતીય ટીમે એશિયા કપમાં રમાયેલી તમામ મેચોમાં શાનદાર જીત હાંસલ કરી છે, જેમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને બેવાર ધુળ ચાટતું કર્યું હતું. ત્યારે હવે ભારતીય ટીમની નજર હવે આ ફાઈનલ મુકાબલો જીતી ૭મી વખત ચેમ્પિયન બનવા પર છે.
બીજી બાજુ જોવામાં આવે તો, ભારતીય ટીમ આ મુકાબલો જીતવા માટે સક્ષમ જણાઈ રહી છે, પરંતુ પાકિસ્તાન સામે બાંગ્લાદેશે મેળવેલી જીત બાદ રોહિત શર્મા આ ટીમને હલકામાં લેવાની કોશિશ ક્યારેય પણ નહિ કરે.
બાંગ્લાદેશની ટીમની વાત કરવામાં આવે તો, સુપર ૪ની અંતિમ મેચમાં બાંગ્લા ટાઈગર્સ દ્વારા પાકિસ્તાનની ટીમને ૩૭ રને હાર આપી હતી અને મોટો ઉલટફેર કર્યો હતો. આ પ્રદર્શનને જોતા ફાઈનલ મુકાબલામાં પણ ત એઓ ભારતીય ટીમને જોરદાર ટક્કર આપી શકે છે.
જો કે હાલમાં બાંગ્લાદેશની ટીમ માટે ખેલાડીઓની ફિટનેસ ચિંતાનો વિષય છે. ઓપનર બેટ્સમેન તમિમ ઇકબાલ પહેલેથી જ ટીમમાંથી બહાર થઇ ચુક્યો છે. આ ઉપરાંત ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ ઉલ હસન પણ ફાઈનલ રમી શકશે નહી.