નવી દિલ્હી,
હાલમાં ઈંગ્લેંડ સામે રમાયેલી ૫ ટેસ્ટ મેચની શ્રેણીમાં કંગાળ ફોર્મમાંથી પસાર થયેલા ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન અને ગબ્બરના નામે ઓળખાતા શિખર ધવનનું ટેસ્ટ કેરિયર હવે ખતરામા જોવા મળી રહ્યું છે.
પૃથ્વી શોનું નામ ચાલી રહ્યું છે સૌથી આગળ
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાંથી શિખર ધવનની બાદબાકી થઇ શકે છે અને તેઓની જગ્યાએ અન્ડર ૧૯ ટીમના કેપ્ટન રહી ચુકેલા અને હાલ શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહેલા પૃથ્વી શોને ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કર્ણાટક ટીમના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનો પણ સમાવેશ કરાઈ શકે છે.
બીજી બાજુ શિખર ધવનની ટીમમાંથી બાદબાકી કરવામાં આવે છે તો, કે એલ રાહુલની સાથે ઓપનિંગ જોડી માટે પૃથ્વી શોનું નામ ખુબ આગળ ચાલી રહ્યું છે.
જો કે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ માટે ૨૫ સપ્ટેમ્બરના રોજ ટીમની પસંદગી કરવામાં આવવાની હતી, પરંતુ આ બેઠક બે દિવસ માટે ટાળવામાં આવી છે.
માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઝડપી બોલર ઇશાંત શર્મા અને સ્પિનર આર. અશ્વિનના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
આ ખેલાડીઓ પાસે ભારતીય ટીમમાં સ્થાન બનાવવાનો છે ખાસ મૌકો
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારથી વડોદરામાં વેસ્ટ ઇન્ડીઝ અને બોર્ડ ઈલેવન વચ્ચે અભ્યાસ મેચ શરુ થવા જઈ રહી છે, ત્યારે ટીમની પસંદગી પહેલા સિલેકશન કમિટી પાસે ખેલાડીઓના પરફોર્મન્સને પારખવાનો વધુ એક મૌકો મળશે.
વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી બોર્ડ ઈલેવન ટીમની વાત કરવામાં આવે તો, આ ટીમમાં મયંક અગ્રવાલ, પૃથ્વી શો અને હનુમા વિહારી જેવા ખેલાડીઓ રમી રહ્યા છે, ત્યારે તેઓ પાસે પણ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટેનો આ ખાસ મૌકો છે.