નવી દિલ્હી,
કેન્દ્રની મોદી સરકાર દ્વારા નવી ટેલિકોમ પોલીસીને મંજૂરી આપવામાં આવી છે. આ નવી નીતિને રાષ્ટ્રીય ડિજિટલ સંચાર નીતિ ૨૦૧૮નું નામ આપવામાં આવ્યું છે.
સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ નીતિ હેઠળ આગામી ચાર વર્ષોમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે અને જેનાથી દેશમાં નવી ૪૦ લાખ નોકરીઓનો અવસર ઉભો થશે.
આ ઉપરાંત નવી ટેલિકોમ પોલીસીમાં દેરક વ્યક્તિને પાંચ વર્ષમાં ૫૦ mbps બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવા પર જોર અજમાવવામાં આવ્યું છે.
આ નવી પોલીસી અંગે જણાવતા કેન્દ્રીયમંત્રી મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, “મંત્રીમંડળ દ્વારા આ નવી ટેલિકોમ પોલીસીને મંજૂરી આપવામાં આવી છે”.
સિન્હાએ વધુમાં જણાવ્યું, “ગ્લોબલ સ્તર પર ટેલિકોમ પ્રણાલીઓમાં ઝડપથી પ્રગતિ થઇ રહી છે. 5G ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને મશીન ટુ મશીન સંચાર સહિતના ક્ષેત્રોમાં આ પ્રગતિ વિશેષ રૂપથી ઝડપી છે”.
ભારતના રેન્કિંગ અંગે તેઓએ જણાવ્યું હતું કે, “NDSP ૨૦૧૮ના કેટલાક ઉદ્દેશોના તમામ લોકોને બ્રોડબેન્ડ સુધીની પહોચ ઉપલબ્ધ કરાવવી, ૪૦ લાખ નવી રોજગારીનું સર્જન કરવું તેમજ ગ્લોબલ ITC ઇન્ડેક્ષમાં ભારતની રેન્કિંગમાં સુધારો કરીને તેને ૫૦માં સ્થાન પર લાવવું શામેલ છે”.