Ahmedabad News: રાજ્યભરમાં જમીનના ખરીદ-વેચાણના મામલે ખેડૂતો સાથે થતી છેતરપિંડી મામલે અનેક મામલા સામે આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે અમદાવાદમાં રહેતા એક બિલ્ડરે નડિયાદના ઉતરસંડા ગામની એક જમીનના દસ્તાવેજોમાં પોતાના મળતા નામનો દૂરઉપયોગ કરી જમીનો ખરીદી હોવાનો ઘટસ્ફોટ થયો છે.નડિયાદમાં બિલ્ડરે અનેક તાલુકાઓમાં જમીનો ખરીદી અને તેમાં પોતાના પરીવારજનોની વારસાઈ કરાવી ખેડૂત બનાવતા ચકચાર જાગી છે. આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ થતા કોર્ટે પોલીસ ઈન્કવાયરી સોંપી હતી, જેમાં તપાસ દરમિયાન આ સમગ્ર ઘટસ્ફોટ થયો છે.
આ મામલે મળતી માહિતી મુજબ, 63 વર્ષીય હરેશ કનૈયાલાલ શાહ હાલ અમદાવાદમાં જીવરાજપાર્ક સોસાયટીમાં રહે છે અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા અને હાલ તેઓ નિવૃત છે. હરેશ શાહે ઉતરસંડાની એક જમીનમાં હરેશ કનુભાઈ પટેલ નામના વ્યક્તિની જમીનની નકલ કઢાવી હતી. આ જમીનની નકલમાં હરેશ કનુભાઈ નામ હતું, જે હરેશ શાહના નામમાં ભળતું નામ હતું. આ નકલનો ઉપયોગ કરી વર્ષ 2010-11માં હરેશ શાહે અમદાવાદના વિરમગામમાં શાહપુર તાબેની જમીન 4.50 લાખ રૂપિયામાં વેચાણ કરાર કર્યો હતો.વિરમગામવાળી આ જમીન ખરીદી કર્યા બાદ હરેશ શાહે પોતાની પત્ની અને બે દિકરાના નામ આ જમીનમાં વારસાઈ કરાવ્યા હતા.
જો કે ત્યારબાદ તબક્કાવાર હરેશ શાહે અન્ય કેટલાય તાલુકાઓમાં અને તેમાંય ખાસ કરીને ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ગામોમાં લાખો રૂપિયાની જમીનો રાખી હતી. હરેશ શાહ સામાન્ય એકાઉન્ટન્ટની નોકરી કરતા હતા, જો કે, આ નોકરી માત્ર ઓન રેકર્ડ દર્શાવી તેઓએ પોતે બિલ્ડર હોય અને પોતાની પાસે રહેલા અપ્રમાણસર નાણાંને બ્લેકમાંથી વ્હાઈટ કરવા માટે જમીનો ખરીદી લીધી હતી.
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ આરોપી હરેશ કનૈયાલાલ શાહે વિરમગામ, ધોળકા, ધંધુકા, મહુધા સહિતના તાલુકાઓમાં મોટા પ્રમાણમાં જમીનો ખરીદી કરોડો રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. આરોપી બિલ્ડર છે અને બેનામી સંપતિ હોવાના કારણે બ્લેકના વ્હાઈટ કરવા આ કાવતરુ કર્યુ હતુ. જે પૈકી કેટલીય જમીનના ભોપાળા બહાર આવી જતા પરત વેચી મારી છે. જો કે, હજુ પણ અનેક તાલુકાઓમાં તેમની જમીન નીકળે તેવી સંભાવના છે. આ વચ્ચે હવે કોર્ટ કેસ થયા બાદ તેમણે ખરીદેલી જમીનો ખાલસા થઈ જાય તેવી શક્યતાઓ છે.
આ સમગ્ર મામલે જમીનો ખરીદવાના પ્રકરણમાં સંડોવાયેલા હરેશ શાહને કોર્ટ કેસ અંગે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, ‘એ તો ચાલ્યા કરે, એના માટે મને કશું પુછવાનું નહીં.’ તેમ કહી ફોન મૂકી દીધો હતો.આ અંગે નડિયાદના શૈલેષભાઈ પટેલ દ્વારા નડિયાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે અંગે કોર્ટે ઉતરસંડા હદ વિસ્તારના વડતાલ પોલીસ મથકને પોલીસ ઈન્કવાયરી કરવા આદેશ આપ્યા હતા. પોલીસ તપાસમાં આરોપી હરેશ શાહે પોતે જ આ પ્રકારનું કૌભાંડ કર્યુ હોવાનો એકરાર પોલીસ સમક્ષ કર્યો છે. પોલીસે આ જવાબો સાથેનો તપાસ રીપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે.
રીપોર્ટ મુજબ હાલ તો આરોપી હરેશ શાહે તમામ આરોપો કબુલી લીધા છે અને પોતે ખેડૂત ન હોવાનું જાણતા હોવા છતાં ખોટી રીતે જમીનો ખરીદી હોવાનો એકરાર કર્યો છે. ત્યારે હવે કોર્ટ આ મામલે શું પગલાં લેશે તે જોવુ રહ્યું.
આ પણ વાંચો:ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી લડશે ચૂંટણી
આ પણ વાંચો:કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક
આ પણ વાંચો:ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? પિતાએ જ કરી દીકરાની હત્યા