ભુવનેશ્વરઃ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાને લઈ જતી બોટ ઓડિશાના ચિલ્કા સરોવરમાં રવિવારે સવારે લગભગ બે કલાક સુધી ફસાઈ ગઈ હતી. પ્રારંભમાં તો એમ મનાતું હતું કે બોટ માછીમારોની જાળમાં ફસાઈ ગઈ હતી, પરંતુ પછી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની બોટ રસ્તો ભટકી ગઈ છે.
આ મામલાની જાણ થતાં જ વહીવટીતંત્રએ બીજી બોટ મોકલી હતી. તેમાથી કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીને બહાર કાઢી લઈ જવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને અન્ય કેટલાક સ્થાનિક પક્ષના નેતાઓ પણ રુપાલા સાથે બોટ પર હાજર હતા. આ ઘટના બની ત્યારે રૂપાલે ખુર્દા જિલ્લાના બરકુલથી તેમનો પ્રવાસ શરૂ કર્યો હતો અને બ્લુ લગૂન દ્વારા પુરી જિલ્લાના સાતપારા ખાતે જઈ રહ્યા હતા.
કેન્દ્રીય પ્રધાનના કાફલાના ફરજ પર ગોઠવાયેલા સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે મોટરવાળી બોટ નલબાના પક્ષી અભયારણ્ય પાસે સરોવરની વચ્ચે લગભગ બે કલાક સુધી અટવાયેલી રહી હતી. તેના પછી મીડિયા સાથેની વાતચીતમાં પ્રધાને જણાવ્યું હતું કે અંધારુ હોવાના લીધે બોટ ચલાવતો નાવિક રસ્તો ભૂલી ગયો હતો. તેના લીધે અમને સાતપારા પહોંચવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.
રૂપાલા પુરી જિલ્લાના કૃષ્ણપ્રસાદ વિસ્તાર પાસે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. આ ઘટના બન્યા પછી તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે રૂપાલા લગભગ સાડા દસ વાગે પુરી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી સાગર પરિક્રમાના કાર્યક્રમના 11માં તબક્કા હેઠળ માછીમારો સાથે વાતચીત કરવા ઓડિશાની મુલાકાતે આવ્યા છે. અગાઉ તેમણે ગંજમ જિલ્લાના ગોપાલપુર બંદર પરથી કાર્યક્રમની શરૂઆત કરી હતી.