Rajkot News/ NEETમાં કરોડોનું કૌભાંડ : 75 લાખથી 1 કરોડ આપો, 650 માર્કસની જવાબદારી, ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં

રાજકોટ જિલ્લાના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો સામે આવી છે

Gujarat Rajkot

Rajkot News : આવતીકાલે 4 મેના રોજ  દેશભરમાં UG મેડિકલ એટલે કે MBBS કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા લેવામાં આવશે. બીજીતરફ પરીક્ષા પહેલા જ વચેટિયા એક્ટિવ થઈ ગયા છે. 75 લાખથી 1 કરોડ રૂપિયા લઈ NEETમાં 650 થી વધુ માર્ક્સ અપાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં છે. રાજકોટ જિલ્લાના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો સામે આવી છે.

વચેટિયા અને વાલી વચ્ચેની ઓડિયો કલીપ પણ વાયરલ થઈ છે. કેવી રીતે વચેટિયા આ કૌભાંડ ચલાવે છે. NEETની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની યાદી આધારે વચેટિયાઓએ રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક વાલીનો સંપર્ક કર્યો હતો. જેમાંથી એક વાલી હકીકત જાણવા એજન્ટને મળવા અમદાવાદની સ્કાયલેન્ડ હોટેલમાં ગયા હતા. જ્યાં એજન્ટે નીટમાં વધુ માર્ક લાવવા માટે કેટલા પૈસા, ક્યા પરીક્ષા આપવાની, ફોર્મ કોણ ભરશે તેવી તમામ બાબતો સમજાવી હતી. એજન્ટે વાલીને એક વિદ્યાર્થીને નીટમાં 650 માર્ક લાવી આપવા રૂ.75 લાખથી 1 કરોડ કિંમત કહી હતી.

ગયા વર્ષે ગુજરાતમાં વિવાદ થતા આ વર્ષે કર્ણાટકના બેલગામ, હુબલી અને બેંગ્લોરના કેન્દ્રમાં સેટિંગ ગોઠવ્યું હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના 8 સહિત દેશભરમાંથી આશરે 85 જેટલા વિદ્યાર્થીને 650 માર્ક અપાવવાનું એજન્ટોએ ગોઠવ્યું છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ પરીક્ષા દરમિયાન 3 દિવસ કર્ણાટકમાં રિસોર્ટમાં રોકાવાની વ્યવસ્થા એજન્ટોએ કરી આપી છે. એજન્ટોએ કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યો સુધી આ વચેટિયાઓનું નેટવર્ક ફેલાયેલું છે. કાલે લેવાનારી NEETની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650 માર્ક્સ અપાવી દેવાની વાલીઓને ગેરંટી અપાઈ હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ષડયંત્રમાં અમદાવાદના એક ખાનગી કલાસિસ સંચાલકની પણ ભેદી ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તાર કે જિલ્લાના વિદ્યાર્થીઓનો આ વ્યક્તિ સંપર્ક કરતા હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના પૂર્ણ DEO બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, કેટલાક વાલીઓની આ પ્રકારની ફરિયાદ મારી પાસે આવી હતી જેમાં એજન્ટ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હોય અને પૈસા લઇને નીટમાં માર્ક અપાવી દેવાનું તેમને કહેવાયું હતું.

ખરેખર જો આવું હોય તો નીટ જેવી રાષ્ટ્રીયકક્ષાની લેવાતી પરીક્ષામાં આવી ગંભીર ગેરરીતિ ચલાવી શકાય નહીં. આધારકાર્ડ બદલીને બીજી કોઈ રીતે ગેરરીતિ કરવા કેન્દ્ર પર પરીક્ષા લેવાતી હોય તો પરીક્ષાના દિવસે કેન્દ્રીય લેવલે જ વિજિલન્સ ચેકિંગ કરવું જોઈએ. આ ઉપરાંત આધારકાર્ડ છેલ્લા 6 મહિનામાં બદલવામાં આવ્યા હોય તેવા વિદ્યાર્થી ફરી આધારકાર્ડ બદલીને આવી જાય અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે તેની તપાસ કરીને તેના સર્ટિફિકેટ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ. ગેરરીતિમુક્ત પરીક્ષા માટે સીસીટીવી રેકોર્ડિંગ દરેક કેન્દ્રની સઘન ચકાસણી તટસ્થ એજન્સી દ્વારા થવી જોઈએ.

તો બીજી તરફ NEET પરીક્ષાને લઇને રાજ્યમાં ફરી એકવાર ગેરરીતિની આશંકા વ્યક્ત થઇ છે. પરીક્ષા પહેલા કેન્દ્રના શિક્ષણ મંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ટેગ કરીને ટ્વિટ કર્યું છે અને કડક કાર્યવાહીની માગ ઉઠાવી છે. આવતીકાલે યોજાનારી NEETની પરીક્ષા સંપૂર્ણપણે નિયમિત અને પારદર્શક રીતે થાય તેવી માંગ કરી છે. ગયા વર્ષે NEETમાં પણ ગેરરીતિના કેસ સામે આવ્યા હતા.

NEET ની પરીક્ષાના આગલા દિવસે જ ગેરરીતિ થતી હોવાનું અને વચેટિયા કૌભાંડ કરતા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ગુજરાત સરકાર કોઈ પણ વિવાદ વગર NEET પરીક્ષા કેવી રીતે પાર પાડે છે તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દ્વારકા જતી બસ પલટી ખાતા મુસાફરો ઘાયલ, ઉદેપુર જતી બસમાં આગ ફાટી નીકળતા માલસામાન ખાખ

આ પણ વાંચો:સ્કૂલ બસ પલટી જતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત, ઘટનાસ્થળે ચીસો ગુંજી ઉઠ્યું…

આ પણ વાંચો:અમરેલીમાં મીનીબસ પલટી જતાં 2 લોકના થયા મોત, 15 થી વધુ લોકો ઘાયલ